સારા અર્જુનના પપ્પા રાજ અર્જુને કહ્યું કે હું મારી મંજિલ સુધી મારી દીકરીનો હાથ પકડીને પહોંચ્યો છું
મારી દીકરીએ ધુરંધરની જેમ મારો સાથ આપ્યો
ફિલ્મ ‘ધુરંધર’ની અભિનેત્રી સારા અર્જુને સાઉથની ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. રણવીર સિંહ સાથે કામ કર્યા બાદ તેની પ્રગતિ વધુ તેજ થઈ છે જે તેના પપ્પા રાજ અર્જુન માટે ખાસ છે. જેમ-જેમ ‘ધુરંધર ઃ ધ રિવેન્જ’ને લઈને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે એમ સારા અર્જુનની લોકપ્રિયતા પણ વધી રહી છે.
પોતાના જીવનમાં દીકરી સારાના મહત્ત્વ વિશે વાત કરતાં રાજ અર્જુન કહે છે, ‘૨૦૦૫માં સારા જન્મી ત્યારે મારા જીવનમાં એક નવી ઊર્જા આવી હતી. દીકરીઓ આશીર્વાદરૂપ હોય છે અને મને એ આશીર્વાદથી જીવવાનો મોકો મળ્યો. દીકરીના જન્મ પછી જ મને પ્રથમ લીડ રોલ મળ્યો હતો, ભલે એ પ્રોજેક્ટ પૂર્ણ ન થઈ શક્યો. જો સારા મારા જીવનમાં ન આવી હોત તો હું આજે કલાકાર ન હોત. લોકો કહે છે કે દીકરીઓ પપ્પાનો હાથ પકડીને આગળ વધે છે, પરંતુ હું મારી મંજિલ સુધી મારી દીકરીનો હાથ પકડીને પહોંચ્યો છું. તેણે એક ધુરંધરની જેમ મને સાથ આપ્યો છે.’
