આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી થિયેટ્રિકલ રિલીઝ બનવાની તૈયારી
રણબીર કપૂર
નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’ને લઈને સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી થિયેટ્રિકલ રિલીઝ બનવાની તૈયારીમાં છે.
મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’ના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી સોની પિક્ચર્સ સંભાળી રહી છે અને ફિલ્મને રેકૉર્ડબ્રેક ગ્લોબલ રિલીઝ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફિલ્મ વિદેશોમાં ૫૦,૦૦૦થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે જે કોઈ પણ ભારતીય ફિલ્મની અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રિલીઝ હશે. બીજી તરફ ભારતમાં ફિલ્મ લગભગ ૯૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થવાની અપેક્ષા છે. આ રીતે દુનિયાભરમાં ‘રામાયણ’ લગભગ ૫૯,૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ શકે છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ માનવામાં આવશે.
જો આ રિલીઝ-પ્લાન સફળ રહ્યો તો ‘રામાયણ’ સ્ક્રીન-કાઉન્ટની બાબતમાં ઘણી મોટી ભારતીય ફિલ્મોના રેકૉર્ડ તોડી દેશે. આ પહેલાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ દુનિયાભરમાં લગભગ બારથી ૧૩ હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી જ્યારે એસ.એસ. રાજામૌલીની ‘RRR’ લગભગ દસથી ૧૧ હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી.
ભારતમાં દિવાળીના દિવસે ૮ નવેમ્બરે રિલીઝ થશે રામાયણ
ADVERTISEMENT
મેકર્સે સ્પષ્ટતા કરી કે આ ફિલ્મ વિદેશોમાં તહેવારના બે દિવસ પહેલાં ૬ નવેમ્બરે રિલીઝ થશે
સોની પિક્ચર્સે તાજેતરમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ-ડેટની જાહેરાત કરી હતી. અંગ્રેજી ભાષામાં ટ્રેલર રિલીઝ કરીને જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ૬ નવેમ્બરે રિલીઝ થશે. જોકે ‘રામાયણ’ના ઑફિશ્યલ પેજ અથવા નિર્માતા નમિત મલ્હોત્રા તરફથી રિલીઝ-ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. માત્ર એટલું કહેવામાં આવી રહ્યું હતું કે ‘રામાયણ’ દિવાળીના અવસર પર રિલીઝ થશે. આ કારણે ચાહકો થોડા કન્ફ્યુઝ હતા. હવે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે.
નમિત મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ‘રામાયણ’ દિવાાળીના બે દિવસ પહેલાં ૬ નવેમ્બરના શુક્રવારે માત્ર વિદેશમાં રિલીઝ થશે, ભારતમાં આ ફિલ્મ દિવાળીના દિવસે એટલે કે ૮ નવેમ્બરના રવિવારે રિલીઝ કરવામાં આવશે. આમ વિદેશમાં રહેતા દર્શકો ભારતીય દર્શકો કરતાં બે દિવસ પહેલાં આ ફિલ્મ જોઈ શકશે, જ્યારે ભારતમાં દર્શકોને દિવાળીના દિવસે જ આ ફિલ્મની ભેટ મળશે.
આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં નમિત મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘ફિલ્મને ૬ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુશન સામાન્ય રીતે શુક્રવારની રિલીઝને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેથી વિદેશમાં ફિલ્મ ૬ નવેમ્બરે જ રિલીઝ થશે. જોકે ભારતમાં ફિલ્મને દિવાળીના દિવસે રિલીઝ કરવાનો અમારો ટાર્ગેટ છે.’
