‘હનુમાન અંશ’ની સફળતા બાદ ડૉ. વિશાલ ચતુર્વેદી હવે ગોસ્વામી તુલસીદાસજીના જીવન પર ‘રામ બોલા’ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદી કરશે અને નિર્માણ મહાવીર જૈન સહિતની ટીમ કરશે.
વિશાલ ચતુર્વેદી
‘હનુમાન અંશ’ને સમગ્ર દેશમાંથી ખૂબ પ્રશંસા અને સફળતા મળી છે. ડૉ. વિશાલ ચતુર્વેદી દ્વારા લખાયેલી અને ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ નીમ કરૌલી બાબાના જીવન અને ઉપદેશો પર આધારિત છે. હવે જાહેરાત કરવામાં આવી છે કે ડૉ. વિશાલ ચતુર્વેદી પોતાની આગામી ફિલ્મ ગોસ્વામી તુલસીદાસજીના જીવન પર બનાવશે અને ફિલ્મનું નામ ‘રામ બોલા’ રાખવામાં આવ્યું છે. મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી ૧૬મી સદીના મહાન વૈષ્ણવ સંત અને કવિ હતા. ભગવાન રામ પ્રત્યેની પોતાની ભક્તિ માટે જાણીતા તુલસીદાસજીને ‘રામચરિતમાનસ’ દ્વારા રામાયણની કથાને લોકપ્રિય બનાવવાનું શ્રેય આપવામાં આવે છે. તેમણે આ ગ્રંથ સામાન્ય બોલચાલની ભાષા અવધીમાં લખ્યો હતો.
ફિલ્મના મેકર્સે આ જાહેરાતની પોસ્ટમાં લખ્યું હતું કે ‘બાપ્પાના આશીર્વાદથી આ શુભ દિવસે નમ્રતા અને કૃતજ્ઞતા સાથે અમે તમારા માટે ‘રામ બોલા’ લઈને આવી રહ્યા છીએ. ગોસ્વામી તુલસીદાસજીની અમર કહાની. વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત. મહાવીર જૈન, વિશાલ ચતુર્વેદી, અમિત ઉપાધ્યાય અને રાઘવેન્દ્ર સિંહ દ્વારા નિર્મિત. મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત.’
