૨૬/૧૧ના આતંકવાદી હુમલા વખતે જીવસટોસટની બાજી લગાવીને દરદીઓને બચાવ્યા હતા નર્સ અંજલિ કુલથેએ
આ ફિલ્મ ખાસ કરીને કામા હૉસ્પિટલના નર્સિંગ-સ્ટાફની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપે છે
કંગના રનૌતની ૧૨ જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે જોડાયેલી સત્યઘટના પર આધારિત છે. ફિલ્મમાં કંગના નર્સ અંજલિ કુલથેનું પાત્ર ભજવી રહી છે જેણે આતંકવાદી હુમલા દરમ્યાન મુંબઈની કામા હૉસ્પિટલમાં પોતાની બહાદુરીથી અનેક લોકોના જીવ બચાવ્યા હતા. હૉસ્પિટલમાં હાજર સૌથી અસહાય અને સંવેદનશીલ દરદીઓની સુરક્ષા માટે તેણે અસાધારણ હિંમત દાખવી હતી. ‘ભારત ભાગ્ય વિધાતા’ ૨૬/૧૧ના હુમલાઓ દરમ્યાન સામાન્ય ભારતીયોએ દેખાડેલી હિંમત અને સંઘર્ષની કથા રજૂ કરે છે. આ ફિલ્મ ખાસ કરીને કામા હૉસ્પિટલના નર્સિંગ-સ્ટાફની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપે છે.
કોણ છે અંજલિ કુલથે?
ADVERTISEMENT
મુંબઈની કામા હૉસ્પિટલમાં પોતાની નિયમિત ડ્યુટી દરમ્યાન અંજલિ કુલથેને જાણ થઈ કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગોળીબાર કરનારા આતંકવાદીઓ હવે હૉસ્પિટલ તરફ આગળ વધી રહ્યા છે. થોડા જ સમયમાં ખબર પડી કે સુરક્ષા-કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ હૉસ્પિટલ-પરિસરમાં ઘૂસી આવ્યા છે. હૉસ્પિટલમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું પણ અંજલિના મનમાં સૌથી પહેલાં તેના દરદીઓનો વિચાર આવ્યો. વૉર્ડમાં ઘણી ગર્ભવતી મહિલાઓ હતી જે ઊભી થઈને ભાગી શકતી નહોતી. અંજલિએ તરત ૨૦ ગર્ભવતી મહિલાઓને એક નાની પૅન્ટ્રીમાં ભેગી કરી લીધી. તમામ લાઇટો બંધ કરી દીધી. બધાના મોબાઇલ ફોન સાઇલન્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા અને સૌને સંપૂર્ણ શાંતિ જાળવવાની સૂચના આપી દીધી. આતંકવાદીઓ હૉસ્પિટલમાં ફરી રહ્યા હતા ત્યારે આ મહિલાઓ અંધકારમાં એકસાથે બેઠી રહી અને તેમની સુરક્ષા માટે અંજલિ પર ભરોસો રાખ્યો.

ફિલ્મમાં કંગના નર્સ અંજલિ કુલથેનું પાત્ર ભજવી રહી છે
હુમલા દરમ્યાન હાઇપરટેન્શનથી પીડાતી એક ગંભીર દરદીને લેબર-પેઇન ઊપડ્યું. હૉસ્પિટલમાં સતત ગોળીબાર ચાલી રહ્યો હતો અને ડૉક્ટરો વૉર્ડ સુધી પહોંચી શકતા નહોતા એવી પરિસ્થિતિમાં અંજલિએ સમગ્ર જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. તેણે દરદીને સુરક્ષિત લેબર-રૂમ સુધી પહોંચાડી દીધી અને તેની દેખરેખ રાખી. બીજા દિવસે સવારે મહિલાએ બાળકીને જન્મ આપ્યો.
