સિદ્ધાર્થ નિગમે હાલમાં જ એક આલીશાન મકાન મુંબઈમાં ખરીદ્યું છે
સિદ્ધાર્થ નિગમ
સિદ્ધાર્થ નિગમની ઇચ્છા છે કે તે તેના રૂમને સેવન સ્ટાર જેવો બનાવવા માગે છે. તેણે હાલમાં જ એક આલીશાન મકાન મુંબઈમાં ખરીદ્યું છે. તેણે ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘પેશવા બાજીરાવ’, ‘અલ્લાદીન નામ તો સુના હોગા’ અને ‘હીરો-ગાયબ મોડ ઑન’માં કામ કર્યું છે. તે છેલ્લે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળ્યો હતો. પોતે ખરીદેલા નવા મકાનને ડ્રીમ હાઉસ જણાવતાં સિદ્ધાર્થ નિગમે કહ્યું કે ‘મેં થોડાં વર્ષો અગાઉ પણ એક ઘર ખરીદ્યું હતું, પરંતુ આ નવું મકાન તો અમારા માટે ડ્રીમ હાઉસ છે. એ મોટું છે અને મને એ વાતની ખુશી છે કે અહીં સુધી હું પહોંચી શક્યો છું. લાઇફમાં મને ક્યારેય પણ કાંઈક મળે તો હું પોતાને નસીબદાર માનું છું અને આભાર માનું છું. થોડાં વર્ષો પહેલાં અમારી પાસે આવી કોઈ સુવિધા નહોતી. આજે જે લક્ઝરી છે એના વિશે તો વિચાર્યું સુધ્ધાં નહોતું. એથી આજે મને નાની વસ્તુ પણ મળે તો હું ખુશ થાઉં છું. મારી જર્નીને ધ્યાનમાં રાખીને હું હંમેશાં નમ્ર રહેવા માગું છું.’
પોતાના ઘરમાં સજાવટનો સામાન પણ તે જાતે જઈને ખરીદે છે અને એમાં તેને ખુશી પણ મળે છે. તેણે લાઇફમાં ખૂબ સ્ટ્રગલ પણ કરી છે. પોતાનો રૂમના દેખાવ વિશે સિદ્ધાર્થ નિગમે કહ્યું કે ‘મને એવો એહસાસ થવો જોઈએ કે એ આલીશાન હોય. હું મારા રૂમમાં પ્રવેશ કરું તો એ સેવન સ્ટાર હોટેલ જેવું દેખાય કે જેમાં બધી જ સગવડ હોય. આવી સુવિધા મારા રૂમ માટે ચાહું છું. એથી મારા દિમાગમાં તો ઘણાબધા આઇડિયા છે. આશા છે કે હું મારા આ મકાનમાં એનો ઉપયોગ કરી શકું.’