થોડા સમય પહેલાં અક્ષય ખન્નાએ શૂટિંગના ગણતરીના દિવસો પહેલાં ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધી હતી
રણવીર સિંહની ફાઇલ તસવીર
છેલ્લા કેટલાક સમયમાં ઍક્ટર્સે છેલ્લી ઘડીએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાની વિવાદાસ્પદ ઘટનાઓ બની છે. થોડા સમય પહેલાં અક્ષય ખન્નાએ શૂટિંગના ગણતરીના દિવસો પહેલાં ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધી હતી. આ પછી રણવીર સિંહે ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દેતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ સંજોગોમાં છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દેવાના ઍક્ટર્સના અભિગમ સામે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કડક વલણ દાખવીને નિવેદન આપ્યું છે. જોકે આમાં સંસ્થાએ કોઈ પણ ઍક્ટરનું નામ લેવાનું ટાળ્યું છે.
પોતાના નિવેદનમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એને એના સભ્યો એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પૅનોરમા સ્ટુડિયોઝ ઇન્ટરનૅશનલ લિમિટેડ તરફથી ઔપચારિક ફરિયાદો મળી છે. આ ફરિયાદો એવી કટોકટીભરી પરિસ્થિતિઓને લઈને છે જે મુખ્ય શૂટિંગ શરૂ થવાના માત્ર થોડા દિવસ પહેલાં જ સામે આવી હતી. ગિલ્ડના નિવેદનમાં કોઈ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ આ નિવેદનનો સમય ખાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં બન્ને પ્રોડક્શન હાઉસ એના મોટા ફ્રૅન્ચાઇઝી પ્રોજેક્ટ્સ ‘દૃશ્યમ 3’ અને ‘ડૉન 3’માંથી જાણીતા કલાકારોના અચાનક બહાર નીકળી જવાના મામલાઓને કારણે ચર્ચામાં રહ્યાં છે.
ADVERTISEMENT
ગિલ્ડે સંકેત આપ્યો છે કે મુખ્ય શૂટિંગ શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી હોય ત્યારે આવી ઘટનાઓ ફિલ્મનિર્માણની પ્રક્રિયા, આયોજન અને નાણાકીય રોકાણ પર ગંભીર અસર કરી શકે છે અને આ મુદ્દાને લઈને સભ્યો દ્વારા સત્તાવાર રીતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે હેસિયત વધે છે ત્યારે દુશ્મનો પણ વધવા લાગે છે: કંગના રનૌતે ‘ડૉન 3’ વિવાદના મામલામાં આપી પોતાની પ્રતિક્રિયા
ફરહાન અખ્તર સાથે ‘ડૉન 3’ને લઈને થયેલા વિવાદ બાદ રણવીર સિંહ સતત ચર્ચામાં છે. રણવીર સામે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE) દ્વારા નૉન-કોઑપરેશન નોટિસ જાહેર કરવામાં આવ્યા પછી આ મામલો વધુ વકર્યો હતો. હવે કંગના રનૌતે પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘મને તો બધાએ બૅન કરી રાખી છે. જ્યારે તમારી હેસિયત વધવા લાગે છે ત્યારે તમારા દુશ્મનો પણ વધવા લાગે છે. રણવીરે વિચારવું જોઈએ કે તેની હેસિયત વધી રહી છે. વિરોધ કરનારા લોકો તમારી હેસિયત સાથે વધતા જાય છે, પરંતુ એનાથી ડરવું કે ગભરાવું ન જોઈએ. જ્યારે તમે જીવનમાં આગળ વધવા લાગો છો ત્યારે અનેક પ્રકારની અડચણો તમારા માર્ગમાં આવે છે. હંમેશાં બધું સરળ હોઈ શકે નહીં. જોકે અંતે બધું સારું જ થાય છે.’
