ફિલહાલ પાર્ટ 2: બનાવટી કાસ્ટિંગ સંદર્ભે લોકોને ચેતવ્યા અક્ષયકુમારે
અક્ષયકુમારે ‘ફિલહાલ પાર્ટ 2’ને લઈને જે નકલી કાસ્ટિંગ ચાલી રહ્યું છે એને લઈને લોકોને સાવધ રહેવા કહ્યું છે. અક્ષયકુમારનું પહેલું મ્યુઝિક આલબમ ‘ફિલહાલ’ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. એવામાં એના પાર્ટ 2ને લઈને ચાલી રહેલી કાસ્ટિંગ પર એક નોટિસ ટ્વિટર પર અક્ષયકુમારે શૅર કરી હતી. એ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ‘નોટિસ ‘ફિલહાલ પાર્ટ 2’. ‘ફિલહાલ’ના તમામ ફૅન્સને જણાવવામાં આવે છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક બનાવટી ન્યુઝ ચાલી રહ્યા છે કે અમે ‘ફિલહાલ પાર્ટ 2’ના ગીત માટે કાસ્ટિંગ કરી રહ્યા છીએ. ‘ફિલહાલ’ની ટીમ વતી અમે ચોખવટ કરવા માગીએ છીએ કે ન તો અમે કે ન તો અમારા પ્રોડક્શન હાઉસે અથવા તો બૅનરે કોઈ પણ પ્રકારની વ્યક્તિ, એજન્સી, પાર્ટનરશિપ ફર્મ અથવા તો કંપની સાથે ગીતના કાસ્ટિંગ માટે ચર્ચા નથી કરી. ખરું કહું તો અમે ‘ફિલહાલ’ની સીક્વલ માટે કાસ્ટિંગ નથી કરી રહ્યા. અમે ઓરિજિનલ કાસ્ટ અને એ જ ટીમ સાથે કામ કરવાના છીએ. અમે અમારા તમામ ફૅન્સ અને દર્શકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરે. પહેલા પાર્ટને લોકો તરફથી મળેલા અપાર પ્રેમ અને પ્રતિસાદને જોતાં ‘ફિલહાલ પાર્ટ 2’ને વહેલાસર લઈને આવીશું. જોકે હાલમાં કપરા સમયનો સામનો કરતાં, કાયદાનું પાલન કરતાં જલદી જ ‘ફિલહાલ પાર્ટ 2’ લઈને આવીશું.’
આ નોટિસને ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના દરમ્યાન અનેક ખોટા સમાચાર જોવા મળ્યા હતા. હવે ખોટું કાસ્ટિંગ પણ થઈ રહ્યું છે. આ વાંચો.’
ADVERTISEMENT
બહેન માટે પૂરી ફ્લાઇટ બુક કરી હોવાની વાતને ફગાવી કાઢી અક્ષયકુમારે
અક્ષયકુમારે ચોખવટ કરી છે કે તેણે તેની બહેન અને તેનાં બાળકો માટે કોઈ ફ્લાઇટ બુક નથી કરી. તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે કોરોનાના ભયને કારણે અક્ષયકુમારે તેની બહેન અને તેનાં બાળકો માટે મુંબઈથી દિલ્હી સુધીની આખી ફ્લાઇટ બુક કરી છે. આ તમામ વાતને રદિયો આપતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘હું સૌને જણાવવા માગું છું કે મારી બહેન અને તેનાં બે બાળકો માટે મેં આખી ફ્લાઇટ બુક કરી છે એ સમાચાર તદ્દન ખોટા છે. જ્યારથી લૉકડાઉન થયું છે ત્યારથી તેણે ક્યાંય પ્રવાસ નથી કર્યો. સાથે જ તેને એક જ બાળક છે. આ ખોટા અને પાયાવિહોણા સમાચાર ફેલાવવાનું બંધ કરો.’