આમિર ખાને સ્વીકાર્યું કે તેનાં મૅરેજ વિશેના સમાચાર સાચા છે...
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટ
રિપોર્ટ હતા કે બે લગ્ન અને બે છૂટાછેડા બાદ આમિર ખાન તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે પાંચમી જુલાઈએ ત્રીજાં લગ્ન કરવાનો છે. હવે ૬૧ વર્ષીય આમિરે પોતે જ આ સમાચારની પુષ્ટિ કરી છે. પોતાનાં લગ્નના રિપોર્ટ પછી સ્પષ્ટતા કરતાં આમિરે કહ્યું હતું કે ‘હું હાલમાં અમેરિકામાં છું અને પ્રવાસ કરી રહ્યો છું. મારા લગ્ન વિષે જે સમાચાર ચાલી રહ્યા છે એ સાચા છે. લગ્ન પાંચ જુલાઈએ થશે. હવે અમને બન્નેને લાગે છે કે અમે અમારા સંબંધને આગળના સ્તરે લઈ જવા માટે તૈયાર છીએ. હું શાંતિ અનુભવું છું. ગૌરી અને હું એકબીજા પ્રત્યે ગંભીર છીએ અને સંપૂર્ણ સમર્પિત છીએ. અમે જીવનસાથી તરીકે સાથે છીએ. દિલથી તેની હું તેમની સાથે પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો છું. તેથી અમારા સંબંધને સત્તાવાર સ્વરૂપ આપવું એક સ્વાભાવિક પગલું લાગે છે.’
આમિર ખાનનો ત્રીજાં લગ્ન કરવાનો નિર્ણય બહુ હિંમતભર્યું પગલું
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ઍક્ટરને શુભેચ્છા આપીને આ લાગણી વ્યક્ત કરી
આમિર ખાન પોતાની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે પાંચમી જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિરે પોતે જ પોતાનાં લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે. હવે આ સમાચાર સાંભળીને ફિલ્મમેકર શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે આ એક ખૂબ જ હિંમતભર્યું પગલું છે.
આમિરનાં ત્રીજાં લગ્નના સમાચાર સાંભળીને સુચિત્રાએ કહ્યું હતું કે ‘ઑલ ધ બેસ્ટ. આ તેમની બહાદુરી છે. હું તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પ્રેમ માટે ફરી એક વાર પોતાના દિલના દરવાજા ખોલવા એ ખૂબ જ સુંદર વાત છે. લગ્ન કોઈ ફરજ નહીં પરંતુ વ્યક્તિગત પસંદગી છે. જો કોઈ વ્યક્તિ ફરી લગ્ન કરવા માગે છે તો એ તેનો અંગત નિર્ણય છે અને એનું સન્માન થવું જોઈએ. સમાજના દબાણને કારણે નહીં, પરંતુ પોતાની ઇચ્છા મુજબ લગ્ન કરવાં કે ન કરવાં જોઈએ.’
