આમિર ખાને જણાવ્યું કે હાલમાં આ હિટ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે...
આમિર ખાન અને રાજકુમાર હિરાણી
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન આમિરે તેની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ની સીક્વલ વિશે મોટી અપડેટ આપી છે.
આ પ્રમોશન દરમ્યાન જ્યારે આમિરને સવાલ કરવામાં આવ્યો કે તે દાદાસાહેબ ફાળકે પર જે ફિલ્મ બનાવી રહ્યો છે એ કયા તબક્કા સુધી પહોંચી છે. આ જ પ્રશ્નના જવાબમાં આમિરે પોતાની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ની સીક્વલનો ઉલ્લેખ કર્યો. આમિરે પોતાના જવાબમાં કહ્યું કે ‘દાદાસાહેબ ફાળકેની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે. તેના પર રાજકુમાર હિરાણી કામ કરી રહ્યા હતા. રાજુએ ફિલ્મના ત્રણ ડ્રાફ્ટ તૈયાર કર્યા, પરંતુ તે હજુ સુધી સ્ક્રિપ્ટથી સંપૂર્ણ ખુશ નથી તેથી તેણે હાલ માટે એને થોડા સમય માટે રોકી રાખી છે. હાલમાં રાજકુમાર હિરાણી ‘3 ઇડિયટ્સ’ની સીક્વલ પર કામ કરી રહ્યો છે. મેં એની વાર્તા સાંભળી છે અને એ ખૂબ જ સારી રીતે લખાઈ છે. હાલમાં એ જ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.’
‘3 ઇડિયટ્સ’ની સ્ટોરી વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘અમારાં પાત્રો તમે ‘3 ઇડિયટ્સ’માં જોયાં હતાં. આ વખતે પણ એ જ પાત્રોની વાર્તા છે, પરંતુ સ્ટોરીલાઇન ૧૦ વર્ષ પછીની છે. રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીએ આ વાર્તાને ખૂબ જ સારી રીતે કલ્પી છે.’
