જુલાઈ-ઑગસ્ટ મહિનામાં વરસાદ વધતાં ઍડ્વાન્ટેજ ઇકૉનૉમી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદના કારણે પૂરપ્રકોપ જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં વરસાદની ભારે ખાધના કારણે ગ્રામીણ અર્થતંત્રને ફટકો પડશે એવી દહેશત વ્યાપી હતી પરંતુ જુલાઈ અને ઑગસ્ટના ભારે વરસાદના કારણે સ્થિતિ સુધરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અર્થતંત્રને ફાયદો થશે એવી આશાઓ વ્યક્ત થઈ રહી છે.
સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતાં ૦.૧ ટકા વધારે થયો છે એટલે કે હવે ચોમાસું સારું રહ્યું છે એમ કહી શકાય. જોકે, આંકડાઓ દર્શાવે છે કે સમગ્ર દેશમાં વરસાદ એકસમાન નથી. દેશના કૃષિ આધારિત ૩૬ જેટલા પેટા વિભાગમાંથી નવમાં વરસાદની હજી પણ ખાધ છે જ્યારે ૧૯માં સામાન્ય વરસાદ થયો છે અને આઠમાં વધારે વરસાદ છે. વધારે ઝીણવટભરી નજર કરીએ તો વરસાદની ખાધ વધારે પડકારરૂપ લાગે છે.
ADVERTISEMENT
હકીકતે, ચોમાસું ૨૦૧૯ એકદમ વિષમ સ્થિતિ લઈને આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના તા.૧૫ ઑગસ્ટ સુધીના વરસાદના આંકડા અનુસાર ચાલુ મોસમમાં અત્યાર સુધી ભારે વરસાદ પડ્યો હોય તેવા જિલ્લા ૧૪૯ છે. વરસાદ વધારે પડે તો લીલો દુષ્કાળ આવી શકે છે કારણ કે ખેતરમાં પાણી ભરાયાં હોવાથી, જમીનનું ધોવાણ થવાથી ત્યાં પાકના વિકાસ માટે પડકાર ઊભો થાય છે, કેટલાક કિસ્સાઓમાં પાક સંપૂર્ણ બળીને નાશ પામે છે.
બીજી તરફ સામાન્ય એટલે કે છેલ્લાં દસ વર્ષની સરેરાશ જેટલો જ વરસાદ પડ્યો હોય અથવા તો વરસાદની ખાધ ૨૦ ટકા કરતાં ઓછી હોય તેવા ૨૭૨ જિલ્લા છે. આ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડ્યો હોવાથી અહીં ખેતી માટે સાનુકૂળ વાતાવરણ રહેશે અને અહીં ઉત્પાદન વધી શકે છે અથવા તો કૃષિને કોઈ નુકસાન જણાતું નથી.
સૌથી ખરાબ સ્થિતિ જ્યાં વરસાદની ખાધ છે તેવા વિસ્તારોની છે. દેશમાં વરસાદની સરેરાશ કરતાં ૮૫ ટકાથી લઈ ૨૦ ટકા જેટલી ખાધ હજી પણ હોય તેવા ૨૫૮ જિલ્લાઓ છે. આ વિસ્તારોમાં અત્યારે દુષ્કાળ પડી શકે છે એવો ડર છે. જે સ્થળોએ સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હોય ત્યાં જમીનના ભેજનું પ્રમાણ વધારે રહેવાથી રવિ પાક લેવામાં સાનુકૂળતા રહે છે પણ જ્યાં ખાધ વધારે છે તે સ્થળોએ માત્ર ખરીફ જ નહીં પણ રવિ પાક ઉપર પણ જોખમ રહે છે. વરસાદ નિષ્ફળ રહેવાથી ખરીફ પાક પણ બળી જશે અને ખાધના કારણે જમીન પણ સૂકી થઈ જવાથી ત્યાં રવિ પાક વાવેતરમાં અને ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડી શકે છે.
આ પણ વાંચો : બજારમાં ચંચળતા ટૂંકા ગાળા માટે જ છે, લાંબા ગાળે ભારતના વિકાસની સંભાવનાઓ ઊજળી છે
તા. ૯ ઑગસ્ટ સુધીના કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર વરસાદ વધ્યો હોવા છતાં દેશમાં વાવેતર લગભગ દરેક પાક માટે ઘટ્યું છે. માત્ર કપાસ જ એક એવો પાક છે જેમાં વાર્ષિક ધોરણે વાવેતરમાં વધારો થયો છે. ચોખા, તેલીબિયા, કપાસ અને શેરડી જેવા પાકોનું વાવેતર ઘટ્યું છે. વાવેતરમાં ઘટાડો અને વિષમ રીતે પડેલા વરસાદના કારણે હવે જોવાનું એ રહ્યું કે દેશનું ખરીફ પાકનું ઉત્પાદન આગામી દિવસોમાં કેવું રહે છે.