ગોપીચંદ હિન્દુજાએ જેટ ઍરવેઝ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી
જેટ એરવેઝ
(જી.એન.એસ.) મૂળ ભારતીય કુળના અને હાલ બ્રિટનમાં વસતા અબજોપતિ હિન્દુજા પરિવારનું કંપનીજૂથ જેટ એરલાઇન્સના લિલામમાં સહભાગી થશે એવી જાણકારી મળી હતી. અત્રે એ યાદ રહે કે ૨૦૧૯ના એપ્રિલની ૧૭મીથી જેટ અૅરલાઇન્સ બંધ થઈ ચૂકી છે. આ કંપની ઉપર ૬૪૦૦ કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે. જેટના લિલામમાં સામેલ થવાની છેલ્લી તારીખ ૨૦૨૦ના જાન્યુઆરીની ૧૫ છે. હિન્દુજા પરિવારના અશોક અને ગોપીચંદ હિન્દુજાએ આ લિલામમાં સહભાગી થવાની તૈયારી આદરી દીધી હતી. અત્યાર અગાઉ સિનર્જી ગ્રુપે પણ જેટ અૅરલાઇન્સને ખરીદવાની તૈયારી દાખવી હતી.
જેટ એરલાઇન્સ પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને પંજાબ નૅશનલ બૅન્કના ૮૨૩૦ કરોડ રૂપિયા લેણાં નીકળે છે. સાથોસાથ જેટ એરલાઇન્સે એના સ્ટાફને પગાર ચૂકવવાનો બાકી છે. સ્ટાફ અને અન્ય લેણદારોના ૬૪૦૦ કરોડ ચૂકવવાના બાકી છે. હિન્દુજા ભાઈઓએ ૨૦૧૯ના આરંભમાં એતિહાદ સાથે ભાગીદારીમાં જેટ એરલાઇન્સ ખરીદવાની તૈયારી દાખવી હતી પરંતુ એતિહાદે એ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. હવે હિન્દુજા ભાઈઓ એકલે હાથે લિલામમાં ઝંપલાવવાના છે. જોકે વિશ્વની અન્ય કંપનીઓ પણ જેટ અૅરલાઇન્સ ખરીદવા માટે લિલામમાં ભાગ લે એવી શક્યતા છે.