દીપક ચાહરની સ્વિંગથી ઇમ્પ્રેસ વિરાટ કોહલી
દીપક ચાહર
ભારતના કૅપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે દીપક ચાહર અનુભવી ભુવનેશ્વર કુમાર જેટલો જ સારો બોલર છે. દીપકે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને છેલ્લી ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં ફક્ત ૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. તેની જોરદાર બોલિંગને કારણે ભારત વેસ્ટ ઇન્ડીઝને ૬ વિકેટે ૧૪૬ રનના ટોટલે રોકવામાં સફળ રહ્યું હતું. ઇન્ડિયાએ ૭ વિકેટથી જીત મેળવીને સિરીઝમાં ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો.
પોસ્ટ-મૅચ પ્રેઝન્ટેશનમાં વિરાટે કહ્યું કે ‘અમારે બે નવા પ્લેયરોને અજમાવવા હતા. અમે બન્ને ચાહર બ્રધર્સને ચાન્સ આપ્યો હતો. રાહુલની આ ડેબ્યુ મૅચ અને દીપકની કમબૅક મૅચ હતી. મારા ખ્યાલથી દીપકે નવા બૉલથી આઉટસ્ટેન્ડિંગ બોલિંગ કરી હતી. હું ખરેખર દીપકની બોલિંગથી ઇમ્પ્રેસ થયો છું અને તેણે રાહુલ સાથે ખૂબ સારી બોલિંગ કરી હતી. દીપકની શાનદાર શરૂઆતથી એક ફીલ્ડિંગ ટીમ અને બોલિંગ યુનિટ તરીકે અમારો દિવસ સારો રહ્યો હતો. દીપકને સ્વિંગ મળવાને કારણે તેને પહેલી ૩ વિકેટ જલદી મળી જેને કારણે વેસ્ટ ઇન્ડીઝ મોટો સ્કોર ન બનાવી શક્યું.’
ADVERTISEMENT
કોહલીએ તેની બૅટિંગ વિશે કહ્યું કે ‘મને નથી લાગતું કે મારે બૅટથી કંઈ પ્રૂવ કરવાની જરૂર છે. મારે મારી જવાબદારી નિભાવવાની છે. હું મારા પોતાના માટે નથી રમતો.’
ભારતીય ક્રિકેટને ટૉપ પર જાળવી રાખવું એ અમારી પ્રાયૉરિટી છે : કોહલી
વર્લ્ડ કપની હારને ભૂલીને ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝનો ટી૨૦ સિરીઝમાં ૩-૦થી વાઇટવૉશ કરીને ફ્રેશ અને શાનદાર સ્ટાર્ટ કર્યું છે. વર્લ્ડ કપમાં ભારતની ટીમ રાઉન્ડ-રોબિન સ્ટેજ પછી પૉઇન્ટ ટેબલમાં ટૉપ રહી હતી છતાં સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો : રિષભ પંત ભારતનું ભવિષ્ય છે અને તેને સ્પેસ આપવી જરૂરી : કોહલી
આગામી ૧૩મો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં ૨૦૨૩માં યોજાવાનો છે. જોકે ટીમ અત્યારે એ વિશે નથી વિચારી રહી અને ફક્ત ભારતીય ક્રિકેટને ટૉપ પર રાખવા વિશે વિચારી રહી છે. ભારતના કૅપ્ટન વિરાટે કહ્યું હતું કે ‘૨૦૨૩ના વર્લ્ડ કપ વિશે વિચારવું બહું વહેલું કહેવાશે. પ્રાથમિકતા હંમેશાં ભારતીય ક્રિકેટને ટૉપ પર રાખવા વિશે છે. છેલ્લાં ૩-૪ વર્ષમાં અમે એ અચીવ કરવામાં સફળ રહ્યા છીએ. અમે વર્લ્ડની નંબર ટૂ ટીમ છીએ અને ઘણી વખત નંબર વન પણ બન્યા છીએ.’