રવિ શાસ્ત્રી કોચપદે યથાવત્ રહે એવી પૂરી શક્યતા
ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી ફરી એક વાર ટીમના કોચપદે રહેશે કે નહીં એ વિશે હજી પણ પ્રશ્નાર્થચિહ્ન છે, કેમ કે ભારતીય ક્રિકેટ બોર્ડે કોચપદ માટે જે નવી અરજીઓ મગાવી છે એ વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીને ટીમ ઇન્ડિયા માટે કોઈ વિદેશી કોચની નિમણૂક કરવાની ઇચ્છા ઓછી છે, કારણ કે તેઓ ભારતીય કોચને તક આપવા માગે છે. જોકે ફૉર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે ગૅરી કર્સ્ટને અરજી કરી છે.
સામા પક્ષે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી વચ્ચે સારું બને છે અને કેટલાક સત્તાધારીઓનું કહેવું છે કે ટીમ ઇન્ડિયામાં અત્યારે થનારો ફેરફાર આવતાં પાંચ વર્ષને પણ અસર કરી શકે છે માટે સારું તો એ જ કહેવાય કે ટીમ જે પ્રમાણે ફૉર્મમાં ચાલી રહી છે એને એ જ પ્રમાણે ચાલવા દેવાય.
ADVERTISEMENT
આ પણ વાંચો: દુલિપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર, પ્રિયાંક પંચાલ ઇન્ડિયા રેડનું સુકાન સંભાળશે
બોલિંગ-કોચ માટે સુનીલ જોશીએ કરી અરજી
ભૂતપૂર્વ ઇન્ડિયન સ્પિનર સુનીલ જોશીએ ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલિંગ-કોચ માટે અરજી કરી છે. સુનીલના મતે ટીમ ઇન્ડિયાને સ્પિન કન્સલ્ટન્ટની જરૂર છે, જે હાલના તબક્કે ટીમમાં નથી. સુનીલે બંગલા દેશ ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ-કોચ તરીકે અઢી વર્ષ ફરજ બજાવી છે. આ વિશે સુનીલનું કહેવું છે કે ‘તમે બીજા દેશની ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમને જોશો તો ખબર પડશે કે તેમની પાસે સપોર્ટ સ્ટાફ ઉપરાંત નિષ્ણાતો પણ છે. આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પાસે એ નથી અને એને જરૂર છે. જરૂરી નથી કે હું જ હોઉં, કોઈ બીજું પણ હોઈ શકે છે.’