અશ્વિન તૈયારી કરીને આવે છે અને અમે તેની જાળમાં ફસાઈએ છીએ
રવિચંદ્રન અશ્વિન
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ ભારતે આઠ વિકેટે જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી હતી. જોકે આ મૅચ પત્યાના થોડા દિવસ બાદ તાજેતરમાં માર્નસ લબુશેને સ્પષ્ટતા કરી હતી કે ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન રણનીતિ બનાવીને બોલિંગ કરતો હતો અને તેની જાળમાં ઘણી વાર કાંગારૂ પ્લેયર્સ ફસાઈ ગયા હતા. આ ઉપરાંત દિગ્ગજ પ્લેયર સ્ટીવ સ્મિથના નબળા પ્રદર્શન માટે પણ લબુશેને તેનો બચાવ કર્યો હતો. બે ટેસ્ટ મૅચમાં અશ્વિને હજી સુધી કુલ ૧૦ વિકેટ લીધી છે જેમાં તેણે સ્મિથને બે વાર અને લબુશેનને એક વાર શિકાર બનાવ્યો હતો.
તૈયારી સાથે રમે છે અશ્વિન
ADVERTISEMENT
એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં અશ્વિન વિશે વાત કરતાં માર્નસ લબુશેને કહ્યું કે ‘મેં પહેલાં ક્યારેય અશ્વિનનો સામનો નથી કર્યો. તે એક મહાન બોલર હોવાની સાથે ચતુર બોલર પણ છે. તે ખરેખર તૈયારી કરીને આવ્યો હતો અને અમે તેની જાળમાં અનેક વાર ફસાઈ ગયા હતા. ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી હતી, પછી એ સ્પિન બોલર હોય કે ફાસ્ટ બોલર.’
સ્મિથનો કર્યો બચાવ
ટેસ્ટ ક્રિકેટમાં નબળું પ્રદર્શન કરી રહેલા સ્ટીવ સ્મિથનો બચાવ કરતાં માર્નસ લબુશેને કહ્યું કે ‘આપણે કંઈ પણ કહીએ પણ થોડા સમય પહેલાં ભારત સામેની વન-ડેમાં સિડનીમાં તેણે સેન્ચુરી ફટકારી હતી. સ્મિથ અહીં લિમિટેડ ઓવરની મૅચ વધારે રમ્યો છે, પણ લાલ બૉલ સાથે તેને વધારે રમવાની તક નથી મળી. કોરોનાને લીધે ક્રિકેટને અસર થઈ હતી જે ભૂલી ન શકાય. ટેસ્ટ ક્રિકેટમાં તેની ઍવરેજ ૬૦થી વધારે છે. પોતાની કરીઅરની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેને ઝડપથી રન બનાવવાનું વધારે પસંદ છે.’
રણનીતિ સાથે ઊતરી ટીમ ઇન્ડિયા
પોતાની વાત આગળ વધારતાં માર્નસ લબુશેને કહ્યું કે ‘ભારતીય ટીમ પૂરેપૂરી રણનીતિ સાથે મેદાનમાં ઊતરી હતી અને એ રણનીતિનો તેમણે સારો એવો અમલ કર્યો હતો. લેગ સાઇડમાં રન બનાવવા મુશ્કેલ થઈ રહ્યા હતા. તેમનું કૅચિંગ પણ સારું હતું. અમારે પણ તેમના પર દબાણ બનાવવાની તક શોધવી પડશે. અમારા સાથીપ્લેયર્સ પોતાની પોઝિશન પર મહેનત કરી રહ્યા છે. આ એકાગ્રતાની વાત છે અને અમારે ફોકસ સાથે રમવું પડશે.’
જોકે મેલબર્ન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમે કુલ આઠ કૅચ છોડ્યા હતા જેમાંથી બે કૅચ ખુદ લબુશેને છોડ્યા હતા.