દ્રોણાચાર્ય એવૉર્ડ મળે તે પહેલાં એથલેએટિક્સ કોચ પુરુષોત્તમ રાયનું નિધન
પુરુષોત્તમ રાય
29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે ભારતના રાષ્ટ્રપતિના વરદ હસ્તે શનિવારે એક વર્ચ્યુઅલ સમારંભમાં દેશના રમતવીરો તથા કોચને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમના એક દિવસ પહેલા એથલેએટિક્સ કોચ પુરુષોત્તમ રાયનું 79 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવૉર્ડ દ્વારા તેમનું સન્માન કરવાનું હતું. પરંતુ એક દિવસ પહેલા એટલે કે શુકરવારે તેમનું મૃત્યુ થતા પરિવારજનોને આઘાત લાગ્યો છે.
79 વર્ષીય પુરુષોત્તમ રાય દ્રોણાચાર્ય એવૉર્ડ અંગે ઉત્સાહિત હતા અને તેઓ શનિવારે યોજાનારા વર્ચ્યુઅલ સમારંભમાં બેન્ગલોરથી જ હાજરી આપવાના હતા. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે, પુરુષોત્તમ રાયે 28 ઓગસ્ટે સાંજે નેશનલ સ્પોર્ટસ એવૉર્ડની ડ્રેસ રિહર્સલમાં ભાગ લીધો હતો. આજે જ્યારે સ્પોર્ટસ ડેના દિવસે તેઓ એવૉર્ડ મેળવવાના હતા તેને બદલે બેન્ગલોરના વિકાસ સૌઢા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ADVERTISEMENT
પુરુષોત્તમ રાય 1980 અને 1990ના દાયકામાં ભારતની નેશનલ અને ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ ટીમ સાથે સંકળાયેલા હતા. દ્રોણાચાર્ય એવૉર્ડ મેળવનારા તેઓ કર્ણાટકના ત્રીજા કોચ હતા. તેમણે ઓલ્મપિક ખેલાડી અશ્વિની નચપ્પા, મુરલી કુટ્ટન, રોસા કુટ્ટી, પ્રમિલા અયપ્પા, વંદના રાવ, જી.જી.પરમિલા અને ઈબી શીલા સહિત ઘણા રમતવીરોને તાલીમ આપી છે.
AFIના અધ્યક્ષ આદિલ સુમારિવાલાએ કોચ પુરૂષોત્તમ રાયના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, રાયના નિધનથી સમગ્ર એસોશિયેશન દુખી છે. રાયે એથલેટિક્સને જીવન સમર્પિત કરી દીધું હતું. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.