મસ્તીમાં કહ્યું કે સામેની ટીમનો કૅપ્ટન ઇચ્છે છે કે અભિષેક શર્મા રમે, તો ચાલો રમાડી દઈશું
મૅચ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સમાં સવાલના જવાબ આપી રહેલો સૂર્યકુમાર યાદવ.
પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાંની પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાનીઓ સાથેના હૅન્ડશેક વિશે વારંવાર સવાલ પૂછવામાં આવ્યા હતા. આ વિશે તેણે રમૂજી અંદાજમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘એ બધાની શું કામ ચર્ચા કરો છો. આ મામલે ૨૪ કલાક રાહ જુઓ. અમે મૅચ સમયે જ સસ્પેન્સ તોડીશું. અમારા માટે મૅચ રમવી મહત્ત્વપૂર્ણ છે.’ અભિષેક શર્મા વિશેના પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગાના નિવેદન પર સૂર્યાએ કહ્યું હતું કે ‘જો સામેની ટીમનો કૅપ્ટન ઇચ્છે છે કે અભિષેક શર્મા રમે તો ચાલો રમાડી દઈશું. વૉશિંગ્ટન સુંદર પણ રમવા માટે ફિટ છે.’ તેણે વધુમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાની ટીમ ભલે કોલંબોના આ મેદાન પર નથી રમી, પણ એને અહીં રહેવાનો ફાયદો થશે. એક જેવી જ પિચ પર રમવાથી ફાયદો રહેશે. જોકે ભારતમાં પણ અહીં જેવી પિચ છે જેના પર અમે રમ્યા છીએ એટલે બન્ને ટીમ માટે પરિસ્થિતિ સમાન રહી શકે છે.’


