નવમી વખત T20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ભારતીય બનશે રોહિત શર્મા
રોહિત શર્માની તસવીર
T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર યુવરાજ સિંહે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્મા વિશે મજેદાર વાતો શૅર કરી છે. ૨૦૦૭માં ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર રોહિતની સફર યુવરાજે નજીકથી જોઈ છે. રોહિત સાથેની તેની પ્રથમ મુલાકાતની યાદ વિશે પૂછવામાં આવતાં યુવરાજે મજાકમાં કહ્યું, ‘ખૂબ ખરાબ અંગ્રેજી...’
યુવીએ આગળ કહ્યું, ‘તે ખૂબ રમૂજી વ્યક્તિ છે. અમે હંમેશાં તેને ચીડવતા આવ્યા છીએ, પણ તે દિલથી બહુ સારો માણસ છે. આટલી સફળતા મળવા છતાં તે બદલાયો નથી. હંમેશાં મજાક કરતો રહે છે. એક ઉત્તમ કૅપ્ટન અને મારા નજીકના મિત્રોમાંનો એક છે. હું ઇચ્છું છું કે તે વર્લ્ડ કપ જીતે. તે એને લાયક છે. કૅપ્ટન તરીકે રોહિત પાંચ IPL ટાઇટલ જીત્યો છે. ભારતને રોહિત જેવા કૅપ્ટનની જરૂર છે.’
‘હિટમૅન’ રોહિત શર્મા આ વર્ષે નવમો T20 વર્લ્ડ કપ રમશે. તેણે ૨૦૦૭થી અત્યાર સુધી T20 વર્લ્ડ કપની આઠ એડિશનમાં ભાગ લીધો છે. ૩૭ વર્ષનો રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024 રમવાની સાથે ભારત માટે ૯ T20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બનશે. મહેન્દ્ર સિંહ ધોની ભારત માટે ૬, જ્યારે વિરાટ કોહલી પાંચ T20 વર્લ્ડ કપ રમ્યો છે.