IPL કરાર તોડનાર માટે બે વર્ષનો પ્રતિબંધ અસરકારક નથી, હજી પ્રભાવશાળી દંડ વિશે વિચારો : સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ૧૯મી સીઝનની શરૂઆત પહેલાં દિલ્હી કૅપિટલ્સ સાથેનો કરાર ઇંગ્લૅન્ડના બેન ડકેટે તોડ્યો હતો. તેણે નૅશનલ ટીમમાં સ્થાન મજબૂત કરવા અને આગામી સિરીઝ માટે તૈયારી કરવાનું બહાનું આપીને ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું હતું. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે.
સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘જો બેન ડકેટને ધ હન્ડ્રેડમાં સારી રકમમાં ખરીદવામાં ન આવ્યો હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોત. તે સમજી શકાય એવું છે કે ધ હન્ડ્રેડમાં ખૂબ જ સારી કિંમતે મળ્યા પછી તે કદાચ IPL છોડીને ખુશ હતો અને કહેતો હતો કે તે તેની ઇંગ્લૅન્ડ ટેસ્ટ કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.’
સુનીલ ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે પણ વધુ વિચારવું જોઈએ, કારણ કે બે વર્ષનો પ્રતિબંધ સ્પષ્ટપણે કામ કરી રહ્યો નથી. તમારે એવું કંઈક કરવું પડશે જેનો પ્રભાવ પડે. જ્યાં સુધી કરાર તોડનાર ખેલાડીની IPLમાં પાછા ફરવાની તેની તકો પર અસર ન થાય ત્યાં સુધી તે કામ કરશે નહીં.’ IPLમાં કરાર તોડનાર પ્લેયર્સ બે સીઝન સુધી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતા નથી.
