આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરિસ્થિતિ મુજબ રમવું મહત્ત્વનું છે : રિષભ પંત
રિષભ પંત
(આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન ટીમના વિકેટકીપરની ફરજ બજાવી રહેલા રિષભ પંત પર મોટા ભાગે ટીકાને મારો ચાલતો હોય છે, પણ ચેન્નઈમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી વન-ડેમાં તેણે ફટકારેલા ૭૧ રનને લીધે ટીમ ઇન્ડિયા એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.
પંતે વન-ડેમાં પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હોવા છતાં ટીમ ઇન્ડિયા પર શિમરન હેટમાયર અને શાઇ હૉપની ઇનિંગ ભારે પડી હતી. પોતાની વાત કરતાં પંતે કહ્યું હતું કે ‘નૅચરલ ગેમ જેવું કંઈ નથી હોતું, તમારે પરિસ્થિતિ કે ટીમની ડિમાન્ડના આધારે રમવું પડે છે. જો તમે પરિસ્થિતિના આધારે રમો તો તમે સારા પ્લેયર છો. એક પ્લેયર તરીકે મારે મારી પ્રોસેસ પર ધ્યાન આપવું છે. બસ તમને તમારા પર ભરોસો હોવો જોઈએ. હમણાં હું શું કરી શકું છું એના પર ધ્યાન આપું છું, બાકી ટીમ-મૅનેજમેન્ટ જે નિર્ણય લેશે એ ટીમને માટે યોગ્ય જ હશે.’
આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...
સ્ટેડિયમમાં બેસેલા ચાહકો જે પંતની ભૂલ પર ધોની-ધોની કરતા હોય છે એ વન-ડે મૅચ દરમ્યાન તેને મોટિવેટ કરવા પંત-પંતની બૂમો પાડતા જોવા મળ્યા હતા. આ બાબતે વાત કરતાં પંતે કહ્યું કે ‘કેટલીક વાર ક્રાઉડનો સપોર્ટ ઘણો મહત્ત્વનો હોય છે. એક વ્યક્તિ તરીકે હું મોટો સ્કોર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ન કરી શક્યો. એક પ્લેયર તરીકે હું દરરોજ પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું. ટીમના દૃષ્ટિકોણથી હું મારી જે પણ ગેમ રમું છું એ ટીમને જિતાડવા માટે રમું છે, જેથી સ્કોરબોર્ડ પર સારો આંકડો જોવા મળે. વ્યક્તિગત રીતે મારા માટે દરેક ઇનિંગ મહત્ત્વની છે અને હું મારી જાતને રોજ ઇમ્પ્રૂવ કરવા માગું છું.’