ગઈ કાલે નીતીશ રાણા, આન્દ્રે રસેલ, વિકેટકીપર શેલ્ડન જૅક્સન, પૅટ કમિન્સ અને સુનીલ નારાયણ તેના શિકાર થયા હતા.
બૂમ... બૂમ... બુમરાહ : પહેલી વાર આઇપીએલમાં પાંચ વિકેટનો પંચ
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે કલકત્તા નાઇટ રાઇડર્સ સામેના મુકાબલામાં જસપ્રીત બુમરાહે (૪-૧-૧૦-૫) તરખાટ મચાવ્યો હતો. તેણે આઇપીએલમાં પહેલી વાર મૅચમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. અગાઉ તેણે બે વાર વધુમાં વધુ ચાર વિકેટ લીધી છે. ગઈ કાલે નીતીશ રાણા, આન્દ્રે રસેલ, વિકેટકીપર શેલ્ડન જૅક્સન, પૅટ કમિન્સ અને સુનીલ નારાયણ તેના શિકાર થયા હતા.
બુમરાહના આ તરખાટને કારણે કલકત્તાની ટીમ ૯ વિકેટે બનેલા ૧૬૫ રન સુધી સીમિત રહી હતી. એમાં ઓપનર વેન્કટેશ ઐયર (૪૩ રન, ૨૪ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) અને નીતીશ રાણા (૪૩ રન, ૨૬ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં.
મુંબઈએ ઈજાગ્રસ્ત સૂર્યકુમારના સ્થાને રમણદીપ સિંહને લીધો હતો. આ સીઝનમાં વારંવાર ઇલેવનમાં ફેરફાર કરવા માટે જાણીતી કલકત્તાએ આ મૅચમાં પાંચ ફેરફાર કર્યા હતા. રહાણે, કમિન્સ, વેન્કટેશ, વરુણ ચક્રવર્તી અને શેલ્ડન જૅક્સનને રમવાનો મોકો અપાયો હતો. માવી, અનુકૂલ રૉય, ફિન્ચ, બાબા ઇન્દ્રજિત અને હર્ષિત રાણાનો આ વખતે ટીમમાં સમાવેશ નહોતો થયો.