દુર્ગાપૂજા માટે ૨૦ કરોડ રૂપિયાની ૫૦ કિલો સોનાની મા દુર્ગાની મૂર્તિ બનશે
કોલકાતામાં દુર્ગાપૂજાની ખાસ તૈયારી..
પશ્ચિમ બંગાળમાં નવરાત્રિ દરમ્યાન દુર્ગા પૂજાનું અનેરું મહાત્મ્ય હોય છે. જેમ મુંબઈમાં ગણેશોત્સવ દરમ્યાન ગણેશના પંડાલો બને છે એમ દુર્ગાપૂજા દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મા દુર્ગાના જાયન્ટ અને આલિશાન પંડાલ બને છે. આ વખતે કલકત્તાના સુપ્રસિદ્ધ સંતોષ મિત્ર સ્ક્વેર દુર્ગોત્સવ સમિતિએ મા દુર્ગાની અનોખી મૂર્તિ બનાવડાવી છે. આ સમિતિના અધ્યક્ષ પ્રદીપ ઘોષનું કહેવું છે કે આ પહેલાં કદી કોઈ દેવીની સંપૂર્ણ સોનાની મૂર્તિ બનાવી નહોતી. આ વખતે અમે કનક દુર્ગા એટલે કે સોનાની દુર્ગા બનાવી છે જે ઉપરથી નીચે સુધી પૂરેપૂરી સોનાની છે અને એનું વજન લગભગ ૫૦ કિલો જેટલું છે.
આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..
ADVERTISEMENT
હાલમાં દસ ગ્રામ સોનાનો ભાવ ૪૦,૦૦૦ રૂપિયા છે તો કનક દુર્ગાની પ્રતિમાની કિંમત લગભગ ૨૦ કરોડ રૂપિયા જેટલી થશે. અલબત્ત એવું નથી કે આ મૂર્તિ બનાવવા માટે દુર્ગા પંડાલવાળાએ પોતે ખર્ચો કર્યો છે. કોઈ એક વ્યક્તિએ આ મૂર્તિ બનાવવાનો ખર્ચ પણ નથી ઉપાડ્યો. એના બદલે કલકત્તાના ઘણાબધા જ્વેલર્સે આ મૂર્તિના નિર્માણ માટે થોડું-થોડું સોનું આપ્યું છે. ઉત્સવ પૂરો થાય એ પછી મૂર્તિને પીગાળીને જે લોકોએ સોનું આપ્યું છે એ તેમને પ્રસાદ રૂપે પાછું આપી દેવામાં આવશે. ૨૦૧૭માં સંતોષ મિત્ર સ્ક્વેર દુર્ગોત્સવ સમિતિએ દુર્ગા માને સોનાની સાડી ચડાવી હતી.