કૃષિ ખાતાનો દાવો: નીલગિરિનો હાર પહેરવાથી કોરોનાથી બચી શકાશે
નીલગિરિનો હાર પહેરવાથી કોરોના-ઇન્ફેક્શનથી બચી શકાય છે
દુનિયા આખી કોરોના-ઇન્ફેક્શનની દવા અને વૅક્સિન શોધવાની મથામણમાં છે ત્યારે ઇન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયે દાવો કર્યો છે કે અમારી સંશોધન સંસ્થાએ બનાવેલો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરિનો હાર પહેરવાથી કોરોના-ઇન્ફેક્શનથી બચી શકાય છે. ઇન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયની આરોગ્ય સંશોધન અને વિકાસ સંસ્થા (હેલ્થ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ એજન્સી)ના નિષ્ણાતોએ બનાવેલો હાર (ઍન્ટિ વાઇરસ નેકલેસ) વિષાણુઓના પ્રતિકારમાં અસરકારક છે અને એવો દાવો થયો છે કે ‘એ નેકલેસ ૧૫ મિનિટ પહેરવાથી ૪૨ ટકા અને ૩૦ મિનિટ પહેરવાથી ૮૦ ટકા જેટલા વાઇરસ ખતમ થાય છે.’ આ ઍન્ટિ વાઇરસ નેકલેસનું જથ્થાબંધ ઉત્પાદન આવતા મહિને શરૂ કરવામાં આવશે. સ્થાનિક સરકારનો તો ત્યાં સુધી દાવો છે કે તેમણે કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોય એવા કૃષિ મંત્રાલયના ૨૦ કર્મચારીઓ પર યુકેલિપ્ટસ નેકલેસનો પ્રયોગ કર્યો હતો અને એનાથી દરદીઓની શ્વાસ લેવાની મુશ્કેલી ઝડપથી દૂર થઈ ગઈ હતી.’