મુઝફ્ફરનગરના ૬૦ વર્ષના શિવભક્ત પરશુરામે ફેફસાંની ગંભીર બીમારી છતાં સ્કૂટી પર બે ઑક્સિજન સિલિન્ડર સાથે કાવડયાત્રા પૂર્ણ કરી મહાદેવને જળાભિષેક કર્યો.
ઑક્સિજન સિલિન્ડરના સહારે હરિદ્વારથી મુઝફ્ફરનગર કાવડ લઈને પહોંચ્યા વડીલ
કહેવાય છે કે મનમાં મહાદેવ માટે આસ્થા હોય તો અનેક પડકારો પણ નાના થઈ જાય છે. મુઝફ્ફરનગરમાં રહેતા ૬૦ વર્ષના પરશુરામ નામના શિવભક્તને છેલ્લાં બે વર્ષથી ફેફસાંની અસાધ્ય બીમારી છે અને તેમણે કોઈ પણ કામ કરવું હોય તો ઑક્સિજન સિલિન્ડર પર નિર્ભર રહેવું પડે છે. આવી તકલીફ છતાં પરશુરામે કાવડયાત્રાનો તેમનો વર્ષોનો સિલસિલો બંધ કર્યો નહોતો. તેઓ થોડા સમયથી હરિદ્વાર જ રહે છે. એટલે તેમણે સ્કૂટી પર બે ઑક્સિજન સિલિન્ડર લઈને ગંગાઘાટ પરથી પાણી લીધું હતું. ગંગાજળ લઈને સ્કૂટી પર જાતે ડ્રાઇવ કરીને મુઝફ્ફરનગર પહોંચ્યા હતા. તેમણે બાગપતના મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવાની ઇચ્છા કરી હતી, પરંતુ એ મંદિર ઊંચાઈ પણ હોવાથી ઑક્સિજન સિલિન્ડર સાથે જવાનું શક્ય નહોતું. એટલે તેમણે શિવચોક પર જળાભિષેક કર્યો હતો. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલું સાહસ કઈ રીતે કરી શક્યા તો તેમનો એક જ જવાબ હતો, જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી મહાદેવની ભક્તિ કરીશ.
