UP Wedding Feast Turns Fatal: બે યુવાનો વચ્ચે `તંદૂરી રોટલી` પહેલા કોણે ખાવી તે અંગે ઝઘડો થયો; બન્ને યુવાનોના ઘટનાસ્થળે મોત
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અમેઠી (Amethi) જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના (UP Wedding Feast Turns Fatal) સામે આવી છે. અહીં એક લગ્ન સમારંભ દરમિયાન, બે યુવાનો વચ્ચે `તંદૂરી રોટલી` પહેલા કોણે ખાવી તે અંગે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે બંનેએ પોતાના જીવ ગુમાવ્યા. લગ્નમાં બધા જ ભોજન કરી રહ્યા હતા. ભોજનને લઈને ઝઘડો થયો. ઝઘડાને કારણે બે યુવાનોના મોત થયા. આ પછી લગ્નગૃહમાં શોક છવાઈ ગયો. મૃત્યુના સમાચાર મળતા જ નજીકના વિસ્તારના લોકો પણ એકઠા થઈ ગયા.
અમેઠીમાં બનેલી આ ઘટના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના બલભદ્રપુર ગામની છે, જ્યાં શનિવારે રામજીવન વર્માની પુત્રીના લગ્ન હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, લગ્નની જાન આવી અને વિધિઓ પૂર્ણ થઈ, પરંતુ ભોજન પીરસતાની સાથે જ ૧૮ વર્ષીય રવિ ઉર્ફે કલ્લુ અને ૧૭ વર્ષીય આશિષ કુમાર વચ્ચે રોટલી પહેલા કોણે ખાવી તે અંગે ઝઘડો થયો. દલીલ એટલી હદે વધી ગઈ કે તે મારામારી સુધી પહોંચી ગઈ, અને પછી બંને યુવાનોએ એકબીજા પર લાકડીઓથી હુમલો કર્યો. ત્યાં હાજર લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં બંનેની હાલત નાજુક બની ગઈ હતી. આશિષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઘાયલ રવિને લખનઉ ટ્રોમા સેન્ટર (Lucknow Trauma Center) લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ તેનું પણ રસ્તામાં જ મોત નીપજ્યું.
ADVERTISEMENT
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બંને મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. ગૌરીગંજ સર્કલના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે જેથી ગુનેગારોને સજા મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
આ ઘટનાએ લગ્નના વાતાવરણને શોકમાં ફેરવી દીધું અને પરિવારની ખુશી પર ઘેરો પડછાયો નાખ્યો. આખી રાત ગામમાં શોકનું વાતાવરણ રહ્યું. લોકોને વિશ્વાસ જ ન થયો કે આટલી નાની વાતમાં બે જીવ ગયા. જે ઘરમાં શહેનાઈ વાગી રહી હતી, ત્યાં ફક્ત ચીસો સંભળાઈ રહી હતી. મૃતકોના પરિવારજનો દુઃખી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે અને દરેકને વિચારવા મજબૂર કરી દીધા છે કે ગુસ્સા અને અહંકારમાં લેવાયેલો નિર્ણય કેટલો મોંઘો પડી શકે છે. સ્થાનિક લોકોએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે નાના મુદ્દા પર થયેલી હિંસાએ બે લોકોના જીવ લીધા અને ઘણા લોકોની ખુશીને દુઃખમાં ફેરવી દીધી. ગામના વડીલો અને સામાજિક કાર્યકરોએ યુવાનોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે.

