ટ્વિટરે ભારતમાં કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદો વધી રહ્યાં છે. થોડાંક સમય પહેલા કેન્દ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમો લાગૂ પાડવાને લઈને અંતિમ ચેતવણી આપી હતી. પરંતુ ટ્વિટર હજી પણ આ નિયમોનું પાલન ન કરતા મુશ્કેલી ઉભી થઈ છે. હવે ટ્વિટરે ભારતમાં કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે.
ભારત સરકાર તરફથી વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ ઈન્ટરનેટ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોનું પાલન કરવાને લઈને આનાકાની ટ્વિટરને ભારે પડતી દેખાઈ રહી છે. આ સોશ્યલ મીડિયા કંપનીને મળેલ ઈન્ટરમીડિયરી માધ્યમનો દરજ્જો ખતમ થઈ ગયો છે. એટલે પોલીસ હવે કંપનીના ભારતીય યુનિટના મેનેજિંગ ડાયરેક્ટર સહિત મુખ્ય અધિકારીઓની પુછપરછ કરી શકે છે અને આ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહેલા ગેરકાયદેસરના અને ઉશ્કેરણીજનક કમેન્ટ પર કાયદાકીય કાર્યવાહી સામનો પણ કરવો પડી શકે છે. એક વાયરલ વીડિયો શૅર કરનારા પોસ્ટને લઈને સોશ્યલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર વિરુદ્ધ મામલો નોંધાયા બાદ આ વાતની જાણકારી સરકારી સૂત્રો પાસેથી મળી છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારે ઈન્ટરનેટ મીડિયા માટે નવા નિયમ લાગુ કર્યા હતા. જેના માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસને નવા નિયમોનું પાલન કરવા માટે ૨૫ મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ટ્વિટર તરફથી આ નિયમોનું પાલન કરવામાં ઢીલ જોવા મળી છે. તેવામાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, ટ્વિટરે અત્યાર સુધી ૨૫મેથી લાગુ થયેલા નિયમોના તમામ પ્રાવધાનોનું પાલન નથી કર્યું. આ બાબતે સરકારે પાંચ જૂને છેલ્લી ચેતવણી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ ટ્વિટર નિયમોનું પાલન નથી કરી શક્યા તો સ્પષ્ટ છે કે કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, ઈન્ટરમીડિયરી હોદ્દો પુર્ણ થયા બાદ પ્લેટફોર્મ સામાન્ય મીડિયાની શ્રેણીમાં આવી જશે. એનો અર્થ એ થયો કે, ટ્વીટરના પ્લેટફોર્મ પર ચાલનાર કોઈ પણ કન્ટેન્ટસ, વીડિયો અથવા કોઈ અન્ય વસ્તુને લઈને કેસ દાખલ થાય છે તો ટ્વિટર પણ તેમા પાર્ટી બનશે અને ભારતીય દંડ સંહિતા હેઠળ તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.