ફુકેતથી દિલ્હી આવતું ઍર ઇન્ડિયાનું પ્લેન હવામાં અચાનક નીચે પછડાયું એને પગલે પ્રવાસીઓ ઓવરહેડ કૅબિન સાથે અથડાયા, દિલ્હીમાં સલામત લૅન્ડિંગ પછી સારવાર અપાઈ
ટર્બ્યુલન્સને લીધે ફ્લાઇટમાં મચેલી અફરાતફરીમાં કોઈનાં જૂતાં નીકળી ગયાં હતાં તો કોઈનું માથું રંગાયું હતું.ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટની બહાર આવતા ઇન્જર્ડ પૅસેન્જરો.
ફુકેતથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ (AI2379)એ મંગળવારે મિડ-ઍર ટર્બ્યુલન્સને કારણે અચાનક ઊંચાઈ ગુમાવતાં એક બાળક સહિત ૧૨ પ્રવાસીઓ અને બે ક્રૂ-મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિમાં અનેક પ્રવાસીઓનાં માથાં વિમાનની ઓવરહેડ કૅબિન સાથે અથડાયાં હતાં, જેને કારણે ઓવરહેડ કૅબિનમાં તિરાડો પણ પડી ગઈ હતી.
પ્રવાસીઓના જણાવ્યા અનુસાર સવારે ઉડાન ભરેલા વિમાને અચાનક જ જોરદાર આંચકા સાથે નીચેની તરફ ગોથાં ખાધાં હતાં, જેનાથી કેટલાક લોકો પોતાની સીટ પરથી ઉપરની તરફ ફેંકાયા હતા અને વિમાનમાં ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક પ્રવાસીઓનાં માથાંમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
દિલ્હી ઍરપૉર્ટ પર ફ્લાઇટનું સલામત લૅન્ડિંગ થયા બાદ તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ઍરપૉર્ટની મેડિકલ સુવિધા આપવામાં આવી હતી તેમ જ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
