Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: હોમિયોપૅથિક ડૉક્ટરોને ઍલોપથીની છૂટ આપવાના વિરોધમાં મહારાષ્ટ્રના ડૉક્ટરો આજથી હડતાળ પર

ન્યૂઝ શોર્ટમાં: હોમિયોપૅથિક ડૉક્ટરોને ઍલોપથીની છૂટ આપવાના વિરોધમાં મહારાષ્ટ્રના ડૉક્ટરો આજથી હડતાળ પર

Published : 05 August, 2026 07:29 AM | Modified : 05 August, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હોમિયોપૅથિક ડૉક્ટરોને અૅલોપથીની છૂટ આપવાના વિરોધમાં મહારાષ્ટ્રના રેસિડન્ટ ડૉક્ટરો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્ય સરકાર દ્વારા હોમિયોપથી પ્રૅક્ટિશનરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં નોંધણી આપવાની દરખાસ્તના વિરોધમાં મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) દ્વારા આજથી રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે દરદીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂઆતના ૨૪ કલાક દરમ્યાન ઇમર્જન્સી કેસનું કામકાજ ચાલુ રાખવામાં આવશે, જ્યારે બીજી તરફ રાજ્યની તમામ સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલોમાં આઉટ ડોર પેશન્ટ (OPD) સર્વિસ, રૂટીન કામગીરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે અનેક વાટાઘાટો છતાં સર્ટિફિકેટ કોર્સ  ઇન મૉડર્ન ફાર્માકોલૉજી પૉલિસીના અમલીકરણ ‌વિશે કોઈ સંતોષકારક ખાતરી મળી નથી. હાલ આ બાબત અદાલતમાં વિચારાધીન  છે અને કોઈ સ્પષ્ટ કાનૂની કે નિયામક માળખું ન હોવાથી સેન્ટ્રલ MARD દ્વારા આંદોલન કરવામાં આવશે.

૨૦૧૯થી ૩૬ દેશોમાંથી ૨૭૪ ફરાર ગુનેગારોને ભારત પાછા લાવ્યા : કેન્દ્ર સરકાર



કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૨૦૧૯થી જુલાઈ ૨૦૨૬ દરમ્યાન ૩૬ દેશોમાંથી કુલ ૨૭૪ ફરાર ગુનેગારોને પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની પ્રક્રિયા દ્વારા ભારત પાછા લાવવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ મજબૂત કાનૂની જોગવાઈઓ, આંતરરાષ્ટ્રીય સહયોગ, વિવિધ એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ અને ટેક્નૉલૉજી આધારિત તપાસને કારણે આ સફળતા મળી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ કરવામાં આવેલા ભરાતપોલ પ્લૅટફૉર્મ સાથે ૧૪૦૦થી વધુ રાજ્ય અને કેન્દ્રીય કાયદા અમલ એજન્સીઓ જોડાઈ છે એને કારણે ઇન્ટરપોલ સાથે માહિતીની આપ-લેનો સમય ત્રણથી ૧૦ દિવસનો થયો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં ફરાર ગુનેગારોને પાછા લાવવામાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હતો, જ્યારે મોદી સરકારે એને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવી છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં ૩ વર્ષમાં કુલ ૪૦૧ રેડ કૉર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે એમાં ૨૦૨૨માં ૪૦, ૨૦૨૩માં ૧૦૦, ૨૦૨૪માં ૧૦૭, ૨૦૨૫માં ૧૧૨ અને ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૧૮૨ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯થી ૨૦૨૬ દરમ્યાન પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ ૧૭,૮૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ૭૬૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.


 

ધીરગુરુદેવના અનુગ્રહથી ૫૦૪ પાંજરાપોળમાં કાઉ લિફ્ટિંગ મશીનનું વિતરણ


શ્રી વર્ધમાન ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહારાષ્ટ્રની વિવિધ ૫૦૪થી વધુ ગૌશાળા પાંજરાપોળમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી હિતેશભાઈ જસાણીની ભાવનાથી મંગલવર્ધની જીવદયાના ઉપાસક રાજુભાઈ શાહના માર્ગદર્શનમાં ગૌમાતા જીવરક્ષા સ્ટૅન્ડ - કાઉ લિફ્ટિંગ મશીનનું વિતરણ કરાતાં જીવદયાપ્રેમીઓમાં અનેરો ઉલ્લાસ વર્તાયો છે. આ મશીન ૮૦૦ જેટલી ગૌમાતાની પ્રસૂતિ, બીમારી વગેરેમાં ઉપયોગી બની રહ્યાં છે. સૌરાષ્ટ્રની પાંજરાપોળમાં પણ આ મશીન મોકલવામાં આવ્યાં છે. એક મશીનનો નકરો ૨૫,૦૦૦ રૂપિયા છે. એના ગુણાંકમાં ગમે અેટલાં મશીનનો લાભ લઈ શકાશે. મશીન પર દાતાનું નામ લખાશે. વધુ વિગત માટે રાજુ શાહ અને હિતેશ જસાણી-ઘાટકોપરનો સંપર્ક કરવા જણાવાયું છે. વધુ વિગત માટે ૯૩૨૧૧ ૩૧૬૧૦ નંબર પર સંપર્ક કરવો.

ડિસેમ્બરમાં ડોમ્બિવલીથી રો-રો ફેરી અને વૉટર મેટ્રો સર્વિસ શરૂ થવાની સંભાવના

મહારાષ્ટ્ર સરકારે ડોમ્બિવલીની મોટાગાવ જેટીથી રોલ ઑન-રોલ ઑફ (Ro-Ro) ફેરી, વૉટર ટૅક્સી અને વૉટર મેટ્રો સર્વિસનો પ્રથમ તબક્કો ડિસેમ્બર મહિના સુધીમાં શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેનાથી સ્થાનિક મુસાફરોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે.મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના વૉટર ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે મોટાગાવ રો-રો જેટી તરફ જતા અપ્રોચ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મોટાગાવ ગણેશઘાટને નવી બની રહેલી જેટી સાથે જોડતો આ રોડ શરૂ થયા બાદ મુસાફરો અને વાહનોની અવરજવરને અત્યંત સરળ બનાવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાના માર્ગે છે. ત્યાર બાદ રો-રો ફેરી, વૉટર ટૅક્સી અને વૉટર મેટ્રો સર્વિસ શરૂ કરી દેવામાં આવશે.

સાંઈને મળ્યા સોનાના રામ

શિર્ડીના સાંઈબાબાનાં ચરણે એક પરિવારે સોનામાં લખાયેલું ‘રામ’ નામ અર્પણ કર્યું હતું. ૭૬ ગ્રામ સોનાનું આ રામ નામ ૧૦ લાખ રૂપિયાની કિંમતનું હોવાનું કહેવાય છે. સાંઈ સંસ્થાન દ્વારા એ રામ નામ અર્પણ કરનાર દુબઈમાં રહેતાં પવન, શ્વેતા, પ્રતીક અને તમન્ના કચરુનું સન્માન કરવામાં આવ્યું હતું.  

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK