લખનઉના ઇકો ગાર્ડનમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આવ્યા હતા.
લખનઉમાં મહાપંચાયત રૅલીમાં સરકાર પર દબાણ કરવા ભેગા થયેલા સંયુક્ત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત તેમ જ અન્ય પદાધિકારીઓ. પી.ટી.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં ખેડૂતોએ ગઈ કાલે રૅલી કાઢી હતી અને તેમની કેટલીક માગણીઓ મૂકી હતી. હજારો ખેડૂતો ઉત્તર પ્રદેશના લખનઉમાં વિશાળ રૅલી માટે એકત્ર થયા હતા કે જે રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે બીજેપી કોશિશ કરી રહી છે. લખનઉના ઇકો ગાર્ડનમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આવ્યા હતા.
કિસાન મહાપંચાયતમાં મંત્રી અજય મિશ્રાના તાત્કાલિક રાજીનામાની માગણી કરવામાં આવી હતી. કેમ કે તેમના દીકરા આશિષની લખીમપુર ખૈરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એમએસપી માટે કાયદાકીય ગૅરન્ટી અને ઇલેક્ટ્રિસિટી સુધારા બિલને પાછું ખેંચી લેવાની તેમજ આંદોલન દરમિયાન હજારો ખેડૂતોની વિરુદ્ધ થયેલા કેસને તાત્કાલિક પાછા ખેંચી લેવાની પણ માગણી કરાઈ હતી.