એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા કહે છે કે પ્રોટોકૉલનું પાલન નહીં કરાય તો થર્ડ વેવ ઝાઝી દૂર નથી
પ્રતીકાત્મક તસવીર
જો કોવિડ પ્રોટોકૉલનું પાલન ન કરાયું અને ભીડ કરવાનું બંધ નહીં કરાય તો કોરોના વાઇરસની ત્રીજી લહેર આગામી છથી આઠ અઠવાડિયાંમાં દેશ પર ત્રાટકવું નિશ્ચિત હોવાની ચેતવણી ગઈ કાલે એઇમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આપી હતી.
દેશની કુલ વસ્તીના મોટા હિસ્સાને રસી ન મળી જાય ત્યાં સુધી કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવી તેઓએ ચાંપતી દેખરેખ રાખવા અને કોવિડ કેસ વધી જાય એ વિસ્તારોમાં લૉકડાઉન લગાવવાની તાકીદ કરી હતી.
રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને ચેપ લાગવાની સૌથી વધુ સંભાવવા હોવાના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
અગાઉ ચર્મરોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોવિડ-19ની ત્રીજી લહેર રોકવી અનિવાર્ય છે અને સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિના દરમ્યાન ત્રીજી લહેર આવી શકે છે.
એપ્રિલ-મે મહિનામાં મહામારીની બીજી લહેરે દેશ માટે ઘણી માઠી અસર છોડી હતી. રોજ મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં તેમ જ હૉસ્પિટલમાં ઑક્સિજનની તંગી સર્જાતાં પરિસ્થિતિ વધુ વકરી હતી.