અકસ્માતના કેસોમાં ગૃહિણીઓ માટે લૉસ ઑફ ડોમેસ્ટિક કૅર હેઠળ નવું વળતર નક્કી કર્યું, ૩૦,૦૦૦ રૂપિયા માસિક આવક ગણાશે
સુપ્રીમ કોર્ટ
ગૃહિણીઓના ઘરકામ અને સામાજિક મૂલ્યને સર્વોચ્ચ સન્માન આપતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગૃહિણીઓને રાષ્ટ્રનિર્માતા તરીકે ઓળખાવીને રોડ-અકસ્માતમાં તેમના મૃત્યુના કિસ્સામાં લૉસ ઑફ ડોમેસ્ટિક કૅર નામની અલગ કૅટેગરી બનાવીને વિશેષ વળતર આપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ૨૦૦૧માં હરિયાણામાં માર્ગ-અકસ્માતમાં જીવ ગુમાવનાર એક મહિલાના પરિવારનું વળતર ૮.૪૩ લાખ રૂપિયાથી વધારીને સીધું ૬૨.૭૭ લાખ રૂપિયા કર્યું છે.
સુનાવણી દરમ્યાન કોર્ટે માન્યું કે ગૃહિણીઓનું યોગદાન પરંપરાગત આર્થિક માપદંડો કરતાં ઘણું વધારે છે અને એને ઓછું આંકી શકાય નહીં. નવી વ્યવસ્થા મુજબ જો ગૃહિણી સ્વતંત્ર કમાણી ન કરતી હોય તો પણ વળતરની ગણતરી માટે તેની લઘુતમ માસિક આવક ૩૦,૦૦૦ રૂપિયા માનવામાં આવશે. આ બેઝિક રકમમાં દર ૩ વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે.
