કૉન્ગ્રેસે હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હોવાનો દાવો કરીને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે કંઈક અજુગતું થઈ શકે એમ હોવાથી મેં જ તેમની સ્પીચ ટાળી હતી
ઓમ બિરલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બુધવારે લોકસભામાં વડા પ્રધાન સાથે કંઈક અજુગતું ઘટી શકે એમ હતું. એને કારણે તેમની બુધવારે સાંજે પાંચ વાગ્યાની સ્પીચ ટાળવી પડી હતી. વડા પ્રધાનની સ્પીચ દરમ્યાન કૉન્ગ્રેસ તેમના પર હુમલો કરવાની યોજના બનાવી રહી હોવાની આશંકા હોવાથી મેં જ તેમને ન આવવાનો આગ્રહ કર્યો હતો.’
વિપક્ષની મહિલા સંસદસભ્યોએ હંગામો કરતાં સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેતાં વડા પ્રધાનનું સંબોધન ટળી ગયું હતું. ધન્યવાદ-પ્રસ્તાવને સંસદમાં હંગામા વચ્ચે ગઈ કાલે પાસ કરવામાં આવ્યો હતો. ૨૦૦૪ પછી પહેલી વાર આ પ્રસ્તાવ વડા પ્રધાનના ભાષણ વિના પાસ થયો છે. સ્પીકરે વિપક્ષી સંસદસભ્યોને કહ્યું હતું કે જો તમે પોસ્ટર લઈને આવશો તો સત્ર આગળ નહીં ચાલે. ઓમ બિરલાએ કહ્યું હતું કે ‘બુધવારે લોકસભાના અધ્યક્ષના કાર્યાલયમાં જે થયું એ સંસદના ઇતિહાસમાં કદી નથી થયું. જે રીતે મહિલા સભ્યો વડા પ્રધાનની સીટ સુધી પહોંચી ગઈ એ આખા દેશે જોયું. એ યોગ્ય નહોતું. આ સંસદની ગરિમાને યોગ્ય નહોતું.’


