Pakistan Ditches Iran during war with Israel: જ્યારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો, ત્યારે પાકિસ્તાને ખૂબ જ ઘમંડ બતાવ્યું. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઉત્સાહમાં તો એમ પણ કહ્યું કે "ઇઝરાયલે ઈરાન, યમન અને પેલેસ્ટાઇનને નિશાન બનાવ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પ, અસીમ મુનિર અને અલી ખામેની ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
જ્યારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો, ત્યારે પાકિસ્તાને ખૂબ જ ઘમંડ બતાવ્યું. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઉત્સાહમાં તો એમ પણ કહ્યું કે "ઇઝરાયલે ઈરાન, યમન અને પેલેસ્ટાઇનને નિશાન બનાવ્યા છે. જો મુસ્લિમ દેશો હવે એક નહીં થાય, તો બધાનું એક જ ભાગ્ય થશે."
ખ્વાજા આસિફે પાકિસ્તાનની સંસદ, નેશનલ અસેમ્બલીમાં "ઈરાન સાથે ઉભા રહેવા"નું વચન આપ્યું હતું અને ઈરાન પરના હુમલા પછી ઈઝરાયલ સામે મુસ્લિમ એકતાનું આહ્વાન કર્યું હતું. નેશનલ અસેમ્બલીમાં બોલતા, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે મુસ્લિમ દેશોએ હવે ઈઝરાયલ સામે એકતા બતાવવા માટે પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું, "ઈઝરાયલે ઈરાન, યમન અને પેલેસ્ટાઇનને નિશાન બનાવ્યું છે. જો મુસ્લિમ દેશો હવે એક નહીં થાય, તો બધાનું એક જ ભાગ્ય થશે."
ADVERTISEMENT
તેમણે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા મુસ્લિમ દેશોને તાત્કાલિક સંબંધો તોડવા વિનંતી કરી અને કહ્યું કે ઇસ્લામિક સહકાર સંગઠન (OIC) એ સંયુક્ત રણનીતિ બનાવવા માટે બેઠક કરવી જોઈએ. આસિફે કહ્યું કે પાકિસ્તાનના ઇરાન સાથે ગાઢ સંબંધો છે અને ઇસ્લામાબાદ આ મુશ્કેલ સમયમાં તેહરાન સાથે ઉભું છે. "અમે ઇરાન સાથે ઉભા છીએ અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર તેમનું સમર્થન કરીશું," સંરક્ષણ પ્રધાને કહ્યું.
ઈરાને પાકિસ્તાનના આ નિવેદનને ખૂબ જ ગંભીરતાથી લઈ લીધું. IRGC કમાન્ડર અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય જનરલ મોહસેન રેઝાઈએ ઈરાની સરકારી ટેલિવિઝન પર કહ્યું, "પાકિસ્તાને અમને કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાન પર પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરશે, તો પાકિસ્તાન પણ ઈઝરાયલ પર પરમાણુ બૉમ્બથી હુમલો કરશે."
સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાને સ્પષ્ટતા આપવી પડી
એ મોટી વાત છે કે ઈરાને જાહેરમાં કહ્યું છે કે પાકિસ્તાને ખાસ પરિસ્થિતિઓમાં પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવાની ખાતરી આપી છે. આ પાકિસ્તાનના પરમાણુ સિદ્ધાંતમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન હતું. જ્યાં પાકિસ્તાન અન્ય દેશોના રક્ષણ માટે તેના પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવા તૈયાર હતું. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ નિવેદન આવતાની સાથે જ ઇસ્લામાબાદ આ નિવેદનથી પાછું હટી ગયું.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઈરાનના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો. ખ્વાજા આસિફે કહ્યું કે ઈસ્લામાબાદે ઈઝરાયલ સામે પરમાણુ હુમલાની વાત કરી નથી. પાકિસ્તાને સ્પષ્ટતા કરી કે તેનો આવો કોઈ ઈરાદો નથી. પાકિસ્તાને ચોક્કસપણે ઈરાનને સમર્થન આપ્યું છે અને ઈઝરાયલના પગલાંની નિંદા કરી છે. પરંતુ પાકિસ્તાન પરમાણુ હુમલાની વાત કરવાથી પાછળ હટી ગયું.
હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ ઇરાની જનરલના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. ઇશાક ડારે સંસદમાં જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઇરાની જનરલ કહેતા જોવા મળે છે કે જો ઇઝરાયલ ઇરાન પર પરમાણુ હથિયારોથી હુમલો કરશે, તો પાકિસ્તાન પણ ઇઝરાયલ પર પરમાણુ હથિયારોથી હુમલો કરશે." તેમણે કહ્યું કે આ બેજવાબદાર અને ખોટા સમાચાર છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે 1998 થી પાકિસ્તાનની પરમાણુ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે ઈરાની જનરલના નિવેદનને ફગાવી દીધું અને કહ્યું કે અમારા તરફથી આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, તે બનાવટી હતું. તે સમયે પણ, અમે કહ્યું હતું કે આ પાકિસ્તાનની જાહેર કરેલી નીતિ છે. તે સ્વ-બચાવના હેતુ માટે છે. ઇશાક ડારે એમ પણ કહ્યું કે, "ઇઝરાયલ પાકિસ્તાન તરફ ઉંચી આંખોથી પણ જોઈ શકતું નથી."
યુરોપિયન લીડરશીપ નેટવર્કના ડૉ. ઋષિ પોલે જણાવ્યું હતું કે પરમાણુ શક્તિ હોવા છતાં, પાકિસ્તાન સાવચેતી રાખે છે કારણ કે તે ઈરાન સાથે સીધો લશ્કરી મુકાબલો અથવા ઇઝરાયલ-યુએસએ સામે કાર્યવાહી ટાળવા માગે છે. આ ખાસ કરીને ત્યારે મહત્ત્વપૂર્ણ છે જ્યારે પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોય અને તેને પશ્ચિમી દેશો તરફથી નાણાકીય સહાયની જરૂર હોય.
અસીમ મુનીર ટ્રમ્પના આતિથ્યનો આનંદ માણી રહ્યા છે
નોંધનીય છે કે પરમાણુ હુમલા અંગેના આ નિવેદનો પાકિસ્તાન તરફથી ત્યારે આવી રહ્યા છે જ્યારે પાકિસ્તાનનું સૌથી મોટું શક્તિ કેન્દ્ર અમેરિકામાં ટ્રમ્પના આતિથ્યનો આનંદ માણી રહ્યું છે. ઑપરેશન સિંદૂર પછી ફિલ્ડ માર્શલ તરીકે બઢતી પામેલા અસીમ મુનીર હાલમાં એક અઠવાડિયાની મુલાકાતે અમેરિકામાં છે. તેઓ અમેરિકન સેનેટરઝ સાથે ચર્ચા કરી રહ્યા છે અને પાકિસ્તાનની તરફેણમાં હિમાયત કરતા થિન્ક ટેન્કસને મળી રહ્યા છે.
ઑપરેશન સિંદૂર પછી, અમેરિકા પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિ નરમ કરી રહ્યું છે. ટ્રમ્પે ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ `ટ્રેડ` દ્વારા ઉકેલ્યો છે. તેમણે 10 મેના રોજ `ટ્રુથ સોશિયલ` પર જાહેરાત કરી હતી કે તેમની મધ્યસ્થીથી "સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ" થયો. જો કે, ભારતે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે યુદ્ધવિરામ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા હતો, અને તેમાં વેપારની કોઈ ચર્ચા થઈ નથી.
ટ્રમ્પ અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી નિકટતા માટે ઘણા કારણો છે. જેમાં આર્થિક, લશ્કરી અને ભૂ-રાજકીય કારણોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને ટ્રમ્પને અમેરિકામાં એક વિશાળ આર્થિક જગ્યા આપી છે. પાકિસ્તાન બલુચિસ્તાનમાં ખનિજ ખાણકામના કૉન્ટ્રાક્ટ અમેરિકન કંપનીઓને આપી રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાને અમેરિકા સાથે એક મોટો ક્રિપ્ટો સોદો કર્યો છે. ટ્રમ્પના નજીકના લોકો આ સોદામાં સામેલ રહ્યા છે.
અમેરિકાની બૅક ચૅનલ ડિપ્લૉમસી અને ગુપ્તચર એજન્સીઓ ફરીથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ઇમરાન ખાનના કાર્યકાળ દરમિયાન, પાકિસ્તાનમાં કામ કરતું આખું યુએસ ગુપ્તચર નેટવર્ક ઇમરાનની કડવાશનો ભોગ બન્યું હતું.
ક્યારેક ક્યારેક આસીમ મુનીર અને શાહબાઝ શરીફની પીઠ થપથપાવીને, અમેરિકા પાકિસ્તાનમાં ચીની હિતોના વિસ્તરણને પણ રોકી રહ્યું છે.
પરંતુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા પશ્ચિમ એશિયા સાથે પણ જોડાયેલી છે.
પાકિસ્તાનનો પાડોશી ઈરાન એક એવો દેશ છે જેને અમેરિકન વ્યૂહરચનાકારો `એક્સિસ ઑફ એવિલ`નો એક ભાગ માને છે. અમેરિકા ક્યારેય ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ થવા દેવા માગતું નથી.
આ માટે, ભલે લશ્કરી કાર્યવાહીની કમાન ઇઝરાયલના હાથમાં હોય, પણ બધા જાણે છે કે આ મિશનનું રિમોટ અમેરિકાના હાથમાં છે.
ટ્રમ્પને ઈરાનને પરમાણુ શસ્ત્રોથી દૂર રાખવા માટે પાકિસ્તાનની જમીનની જરૂર છે. જ્યાંથી અમેરિકા ઈરાનની દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે 909 કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદ રેખા ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાનને પાકિસ્તાનના બલુચિસ્તાનથી અલગ કરે છે.
નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાનનો આ વિશ્વાસ મેળવવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્ર અને અમેરિકન સૈન્ય અસીમ મુનીરની પીઠ થપથપાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાને આતંકવાદ સામે ઉત્તમ કામ કર્યું છે. આ મહાન કાર્યના પુરસ્કાર તરીકે અસીમ મુનીરને અમેરિકા આમંત્રણ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે કૉલ્ડ વૉર દરમિયાન, યુએસએ UUSRને તોડવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો હતો. હવે અમેરિકા પાકિસ્તાનમાં રહીને ઈરાન અને ચીન સામે પણ એ જ કામ કરવા જઈ રહ્યું છે.
ચીન સામે વ્યૂહાત્મક પગલું ભરવું હજી પણ મોટી વાત છે, પરંતુ પાકિસ્તાનમાં રહીને અને ઇઝરાયલનો આશ્રય લઈને અમેરિકા માટે ઇરાનને નિયંત્રિત કરવું સરળ છે. અમેરિકાએ આ દિશામાં એક પગલું ભર્યું છે.
અસીમ મુનીરની અમેરિકા મુલાકાતનો સમય પણ એ સમય સાથે મેળ ખાય છે જ્યારે ઇઝરાયલી જેટ વિમાનો ઈરાનના આકાશમાં વિનાશ મચાવી રહ્યા છે.
જો ઑપરેશન સિંદૂર દરમિયાન નકલી પ્રશંસાનો બમ્પર ડૉઝ મેળવ્યા પછી ફિલ્ડ માર્શલ બનેલા અસીમ મુનીર હજી પણ પાકિસ્તાનમાં હોત, તો પાકિસ્તાનના આર્મી ચીફ પર ઇસ્લામિક દેશ (ઈરાન) ને મદદ કરવા માટે દબાણ કરી શકાયું હોત. પાકિસ્તાન ગમે તેમ કરીને પોતાને ઇસ્લામિક ઉમ્માના વડા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરતું રહે છે.
પરંતુ છેલ્લી ઘડીએ મુનીરની ગેરહાજરીએ આ પ્રશ્નનો અંત લાવી દીધો છે. અસીમ મુનીરને મનાવીને, અમેરિકાએ લાંબા સમયથી ચાલતા ઈરાન મુદ્દાને તેના પક્ષમાં ઉકેલવાનો નિર્ણય લીધો છે.

