લેહથી સિરક્રીક સુધીનાં ૩૬ ઠેકાણે ટર્કીમાં બનેલાં ૩૦૦-૪૦૦ ડ્રોન વરસાવ્યાં પાકિસ્તાને, પણ ભારતે બધા હુમલા નિષ્ફળ બનાવ્યા
ત્રણેય સેના-અધ્યક્ષ, રાજનાથ સિંહ અને અજિત ડોભાલ સાથેની મોદીની મીટિંગ
ભારતે હાથ ધરેલા ઑપરેશન સિંદૂરથી બેચેન થઈને પાકિસ્તાની સેનાએ ગુરુવાર રાતથી ભારતનાં ઉત્તર અને પશ્ચિમી રાજ્યોનાં મુખ્ય શહેરો અને અનેક સૈન્ય-વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ-હુમલાની કોશિશ કરી એનો જડબાતોડ જવાબ ભારતની સેનાએ આપ્યો હતો. પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ-હુમલા નાકામ થતાં વધુ ડેસ્પરેટ થયેલું પાકિસ્તાન હવે શું કરી શકે એમ છે અને ભારતનો ઍક્શન-પ્લાન શું હોઈ શકે એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મોડી રાતે હાઈ લેવલ મીટિંગ કરી હતી. એમાં ત્રણેય સેનાના અધ્યક્ષો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરી વચ્ચે વડા પ્રધાન આવાસ પર મીટિંગ થઈ હતી. લગભગ અઢી કલાક મીટિંગ ચાલી હતી. મીટિંગ પૂરી થયા પછી પણ નરેન્દ્ર મોદીએ અજિત ડોભાલ સાથે લાંબી ચર્ચા કરી હતી.

