ભારતમાં મુંબઈ, દિલ્હી સહિત મોટાં શહેરોમાં એક કલાક માટે અંધારું છવાયું હતું.
મુંબઈની તસવીરો : અતુલ કાંબળે
વર્લ્ડ વાઇડ ફન્ડ ફૉર નેચરની પહેલથી ઊર્જા-સંરક્ષણ અને જળવાયુ-પરિવર્તન પ્રત્યે જાગરૂકતા વધારવા માટે ગઈ કાલે સાંજે ૮.૩૦થી ૯.૩૦ દરમ્યાન ભારતભરમાં અર્થ અવરની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં બિનજરૂરી લાઇટ્સ અને વીજળીનાં ઉપકરણો એક કલાક માટે બંધ રાખવામાં આવે છે. ભારતમાં મુંબઈ, દિલ્હી સહિત મોટાં શહેરોમાં એક કલાક માટે અંધારું છવાયું હતું. મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, હુમાયુ કા મકબરા જેવાં અનેક મુખ્ય સ્મારકો પૃથ્વીના સંરક્ષણ માટેની પહેલમાં અંધારપટ પાળીને જોડાયાં હતાં. ઊર્જાની બચત કરીને પર્યાવરણ પ્રત્યે સભાનતાનો સંદેશ આપવાના ઉદ્દેશથી એક કલાકનો સાંકેતિક અંધારપટ પળાયો હતો.
ભિવંડીમાં લાઇટર બનાવતી ફૅક્ટરીમાં આગ
ADVERTISEMENT
ભિવંડીના સાપે વિલેજમાં આવેલી લાઇટરની ફૅક્ટરીમાં ગઈ કાલે સાંજે છ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયરબ્રિગેડનાં બે ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણવા મળ્યું નહોતું. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.
ડીઝલ નહીં મળે

ગઈ કાલે કાંદિવલીના એક પેટ્રોલ-પમ્પ પર ડીઝલનો સ્ટૉક નથી એવું લખેલી કાપલીઓ ચોંટાડેલી જોવા મળી હતી.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા PNGના કનેક્શન માટેની શરતોમાં છૂટ આપવાનો આદેશ
મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની અછત થઈ શકે એવી આશંકા છે ત્યારે વધુ ને વધુ લોકો ભારતમાં જ ઉત્પન્ન કરાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) વાપરતા થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે અને એ માટે રાજ્ય સરકાર મોટો નિર્ણય લે એવી શક્યતા છે. પાણીનાં જોડાણો અને વીજળીજોડાણો પૂરા પાડવા માટેની શરતો અને નિયમો અનુસાર PNG કનેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવશે. ખાડીમાં યુદ્ધને કારણે LPGની મોટી અછત અનુભવાવા લાગી છે. આના ઉકેલ તરીકે ભારત સરકાર હવે PNGનું ઉત્પાદન વધારી રહી છે. ૯ લાખ મેટ્રિક ટન PNGનું ઉત્પાદન થઈ રહ્યું હતું, હવે ક્ષમતા વધારીને ૧૧ લાખ મેટ્રિક ટન કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને નગરપાલિકાઓને PNG કનેક્શન આપવાની શરતોમાં છૂટ આપવાનો આદેશ આપ્યો છે.
