નવનીત રાણાનો અરવિંદ સાવંતને અણિયાળો સવાલ
નવનીત રાણા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાને શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત (જેમણે નીચલા ગૃહમાં સચિન વઝે કેસનો મામલો ઉઠાવવા બદલ ધમકી આપી હતી) વિરુદ્ધ પત્ર લખ્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાવંતને પૂછવા માગે છે કે કયા આધારે તેમને જેલમાં મોકલવામાં આવશે.
એટલું જ નહીં રાણાએ પત્રમાં જણાવ્યું હતું કે મને ફોન પર તથા શિવસેનાના લેટરહેડ પર ઍસિડ હુમલાની ધમકી પણ આપવામાં આવે છે.
ADVERTISEMENT
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સાવંતની કથિત ધમકી વિશે તેઓ શું કરશે તો એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘મેં આ મુદ્દો સ્પીકર સમક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશી સમક્ષ ઉઠાવ્યો છે. જો મને ગૃહમાં સમય મળશે તો હું અરવિંદ સાવંતને પૂછીશ કે તેઓ કયા આધાર પર મને જેલમાં મોકલશે.’
રાણાએ સવાલ કર્યો હતો કે ‘મેં તેમને એવું કહેતાં સાંભળ્યા હતા કે હું ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરી રહી હતી ત્યારે મારી બૉડી લૅન્ગ્વેજ યોગ્ય નહોતી. શું ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરતાં પહેલાં મહિલાઓએ શિવસેના પાસેથી બૉડી લૅન્ગ્વેજના ક્લાસ લેવા પડશે? હું ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલી એ આધાર પર શું મને જેલમાં મોકલવામાં આવશે?’