સંરક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા અગ્નિવીરો માટે અનામતની જાહેરાત કરવામાં આવી, બીજાં પણ કેટલાંક મંત્રાલયો દ્વારા ભાવિ અગ્નિવીરો માટે તકો સર્જવાની જાહેરાત
Agneepath Protest
પટનામાં ગઈ કાલે મસૌઢી ખાતે અગ્નિપથ યોજનાની વિરુદ્ધ દેખાવ કરનારા ટોળાએ તારેગના રેલવે સ્ટેશનને આગ લગાડી હતી.
અગ્નિપથ ભરતી યોજના વિરુદ્ધના આક્રોશની આગને ઓલવવા માટે ભારત સરકાર વિશેષ પ્રયાસ કરી રહી છે. વિરોધ-પ્રદર્શન કરી રહેલા યુવાનોનો સૌથી મોટો સવાલ આ યોજના હેઠળ ચાર વર્ષની સર્વિસ પછી તેમનું ભવિષ્ય શું રહેશે એ છે ત્યારે ગઈ કાલે સંરક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા અગ્નિવીરો માટે અનામતની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ હાઉસિંગ અને પેટ્રોલિયમ મંત્રાલય તરફથી પણ આવા જ પગલાની જાહેરાત થઈ હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લાયકાતના જરૂરી માપદંડોનું પાલન કરનારા અગ્નિવીરો માટે સંરક્ષણ મંત્રાલયમાં નોકરીઓમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને ગઈ કાલે મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે ‘સંરક્ષણ મંત્રાલય હેઠળનાં તમામ ૧૬ જાહેર સાહસો તેમ જ ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ તેમ જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ૧૦ ટકા અનામતનો અમલ કરવામાં આવશે. આ જોગવાઈઓનો અમલ કરવા માટે સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયને સંબંધિત જાહેર ક્ષેત્રના એકમોને પણ ભરતી માટેના તેમના નિયમોમાં ફેરફાર કરવા માટે સલાહ આપવામાં આવશે.’
ADVERTISEMENT
બીજી તરફ ગૃહ મંત્રાલયે પણ અગ્નિવીરો માટે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ અને આસામ રાઇફલ્સમાં ૧૦ ટકા વેકેન્સીઝ અનામત રાખવાની ગઈ કાલે જાહેરાત કરી હતી.
એટલું જ નહીં, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પણ ગઈ કાલે જણાવ્યું હતું કે તેમના હાઉસિંગ અને પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના જાહેર એકમો આર્મ્ડ ફોર્સિસમાં ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને હાયર કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
સિવિલ એવિએશન મંત્રાલયે ચાર વર્ષની નોકરી પૂરી કરનારા અગ્નિવીરો માટે ખાસ જાહેરાત કરી છે. અગ્નિવીરોને ઍર ટ્રાફિક સર્વિસિસ અને ઍરક્રાફ્ટ ટેક્નિશ્યન સર્વિસિસમાં તક આપવામાં આવશે.
સ્પોર્ટ્સ મંત્રાલયે પણ જાહેર કર્યું છે કે અગ્નિવીરો માટે સ્પોર્ટ્સ મંત્રાલયમાં પણ યોગ્ય તક આપવામાં આવશે. જે લોકો ફિઝિકલ એજ્યુકેશન ટીચર બનવા ઇચ્છશે તેમને સરકાર ક્રૅશ કોર્સ અને ટ્રેઇનિંગ પૂરી પાડશે.