તેમણે દાવો કર્યો કે આ બળવાખોર નેતાઓ કાર્યકરોને બચાવવા નહીં, પોતાની ગેરકાયદે સંપત્તિ અને પરિવારને કેસોથી બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શરણે ગયા છે
ફાઇલ તસવીર
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં પ્રમુખ મમતા બૅનરજીએ ઉત્તર કલકત્તા જિલ્લા પક્ષની વર્ચ્યુઅલ મીટિંગમાં પક્ષપલટો કરનારા વિધાનસભ્યો, સંસદસભ્યો અને કાઉન્સિલરો પર આકરા પ્રહારો કરતાં તેમને ગદ્દાર ગણાવ્યા છે. મમતાએ ભાવુક કાર્ડ રમતાં કહ્યું હતું કે જે પક્ષે નેતાઓને ઓળખ અને સન્માન આપ્યાં એને મુશ્કેલ સમયમાં છોડી દેવો એ પોતાની બીમાર માતાને તરછોડી દેવા સમાન છે. તેમણે દાવો કર્યો કે આ બળવાખોર નેતાઓ કાર્યકરોને બચાવવા નહીં, પોતાની ગેરકાયદે સંપત્તિ અને પરિવારને કેસોથી બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શરણે ગયા છે.
બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દેશમાં હાલ ભય અને દમનનો માહોલ છે; યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર સરકારની આલોચના કરનારાઓની ધરપકડ થઈ રહી છે.
ADVERTISEMENT
બંગાળમાં પણ લાગુ થશે યુનિફૉર્મ સિવિલ કોડ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ શુક્રવારે રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની એક અત્યંત મહત્ત્વની અને મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર નિર્ધારિત અને યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરીને રાજ્યમાં આ સમાન કાયદો લાવશે. મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે ‘રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC)ના અમલીકરણ માટેની એક ચોક્કસ બંધારણીય અને કાનૂની પ્રોસેસ હોય છે. અમે એ જ માર્ગે આગળ વધીશું. આ પ્રક્રિયા પણ ગુજરાત અને આસામ જેવી જ રહેશે.’
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને આસામ એવાં બે રાજ્યો છે જેમણે નાગરિકોનાં લગ્ન, છૂટાછેડા, દત્તક વિધાન અને મિલકતના વારસા જેવા મહત્ત્વના સામાજિક મુદ્દાઓ પર એકસમાન કાયદો લાવવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી પગલાંઓ શરૂ કરી દીધાં છે. હવે પશ્ચિમ બંગાળ પણ આ જ પ્રોસેસ અપનાવીને રાજ્યમાં કાયદો લાવવા માટે કટિબદ્ધ બન્યું છે.
