ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ વિદેશપ્રધાન એસ. જયશંકરની પ્રશંસા કરતાં કહ્યું...
અબ્બાસ અરાગચી દિલ્હી લૅન્ડ થયા ત્યારે તેમના પ્લેન પર #Minab168 લખેલું હતું
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી ૩ દિવસ માટે ભારતની વિઝિટે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા યુદ્ધ પછી ઈરાન સાથે પહેલી વાર ભારતની હાઈ-લેવલ ડિપ્લોમૅટિક વાતચીત થઈ રહી છે. ગુરુવારે અબ્બાસ અરાગચી દિલ્હી લૅન્ડ થયા ત્યારે તેમના પ્લેન પર #Minab168 લખેલું હતું જે યુદ્ધ દરમ્યાન ઈરાનના નિર્દોષ નાગરિકોને થયેલા અન્યાયની ગાથા વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જ હતું.
ગઈ કાલે અબ્બાસ અરાગચીએ ભારત સરકાર અને વિદેશપ્રધાન એસ. જયશંકરની ખૂબ પ્રશંસા કરી હતી અને ભારત-ઈરાનના સંબંધોને હાલના તનાવભર્યા માહોલમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિના દરમ્યાન અમારા દેશ પર આક્રમક કાર્યવાહી થઈ રહી હતી ત્યારે પણ ભારત લગાતાર અમારા સંપર્કમાં રહ્યું. એણે કૂટનીતિક સમર્થન તો આપ્યું જ, પણ માનવીય સહાયતા કરીને ઈરાની જનતા સાથે એકજૂટતા દેખાડી. ભારત હંમેશાં આ ક્ષેત્રમાં સંતુલિત અને સન્માનનજનક ભૂમિકા નિભાવતું રહ્યું છે.’
