સિંધુ જળ કરાર સ્થગિત કર્યા પછી પહેલીવાર એના વિશે બોલ્યા નરેન્દ્ર મોદી
ગઈ કાલે દિલ્હીમાં એબીપી નેટવર્કની ઇવેન્ટમાં બોલતા નરેન્દ્ર મોદી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને રદ કરી દીધી છે ત્યારે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે પહેલી વાર જાહેરમાં નિવેદન આપ્યું હતું. એક ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ‘ભારત માટે નક્કી કરાયેલું પાણી હવે દેશમાં જ રહેશે અને એનો ઉપયોગ કરવામાં આવશે. પહેલાં ભારતનું પાણી પણ બહાર જતું હતું. હવે ભારતનું પાણી ભારતના હકમાં વહેશે, ભારતના હકમાં અટકશે અને ભારતના જ કામ આવશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે લોકો કોઈ પણ જરૂરી પગલું ભરતાં પહેલાં વિચારતા હતા કે દુનિયા શું વિચારશે. તેઓ વિચારતા હતા કે તેમને મત મળશે કે નહીં, તેમની સીટ સુરક્ષિત રહેશે કે નહીં. આ કારણોસર મોટા સુધારાઓમાં વિલંબ થયો. કોઈ પણ દેશ આ રીતે પ્રગતિ કરી શકતો નથી. દેશ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે આપણે રાષ્ટ્રને પ્રથમ રાખીએ છીએ.

