પીઓકેમાં તિરંગો લહેરાય એ દિવસો દૂર નથી: કેન્દ્રીય પ્રધાન
જિતેન્દ્ર સિંહ
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં તિરંગો લહેરાય એ દિવસો દૂર ન હોવાની વાત કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કરી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલને નવું નામ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત આગેકૂચ કરી રહ્યું છે એ જોતાં મને પાક્કો વિશ્વાસ છે કે જે કારણસર શ્યામાપ્રસાદ મુખરજીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એ પીઓકેમાં તિરંગો લહેરાય એ દિવસો હવે દૂર નથી.
ADVERTISEMENT
સમય વેડફ્યા વગર ટનલને શ્યામાપ્રસાદ મુખરજીનું નામ આપવાના પ્રસ્તાવને મંજૂર કરવાનો શ્રેય સિંહે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીને આપ્યો હતો. સિંહે જણાવ્યું હતું કે ૬૬ વર્ષ અગાઉ ૧૯૫૩ની ૧૧ મેના દિવસે એફઆઇઆર, ચેતવણી કે ચાર્જશીટ વિના શ્યામાપ્રસાદની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ચેનાની-નશરી માર્ગે શ્રીનગર લઈ જવાયા હતા. શ્યામાપ્રસાદના ૧૯૫૩ની ૨૩ જૂને થયેલા મૃત્યુ બાદ તેમની માતાએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની વિનંતી કરી હતી, પણ કોઈક કારણસર નેહરુએ એ પત્ર પર ધ્યાન નહોતું આપ્યું અને કોઈ તપાસ નહોતી કરાઈ.