Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 54,366 કેસ, 690 દર્દીઓનાં મોત
તસવીર: સમીર આબેદી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78 લાખને નજીક થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.17 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 70,000 કરતા ઓછા કેસ નોંધાય છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે.
શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 54,366 નવા કેસ નોંધાયા છે અને 690 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 77,61,312 કેસ થઈ ગયા છે. જેમાંથી 6,95,509 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 69,48,497 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,17,306 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 7,539 નવા કેસ નોંધાયા છે અને 198 લોકોના મોત થયા છે. જ્યારે 16,177 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,25,197 થઈ ગયો છે. તેમાંથી 1,505,510 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 42,831 લોકો મૃત્યુ પામ્યા છે અને 14,31,856 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 996 નવા કેસ નોંધાયા હતા અને 9 લોકોના મોત થયા હતા. જ્યારે 1,201 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,64,121 થઈ ગયો છે. જેમાંથી 14,143 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,670 લોકોના મોત થયા છે અને 1,46,171 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 22 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 10,01,12,085 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, ગુરુવારે 22 ઓક્ટોબરે 14,4,2722 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.