રાજ્યસભામાં મોદી સરકારને મળી મોટી સફળતા, UAPA બિલ પાસ
પાર્લામેન્ટ
રાજ્યસભામાં યુએપીએ બિલ મતદાન બાદ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં ૧૪૭ અને વિરોધમાં ૪૨ વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે હવે કાયદામાં સંશોધન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.
ગૃહપ્રધાન અમિત શાહે ગેરકાયદે ગતિવિધિઓ સંશોધન બિલ ૨૦૧૯ પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. તેઓએ કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે.
ADVERTISEMENT
શાહે ગૃહમાં કહ્યું કે, ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી એનઆઇએ કુલ ૨૭૮ મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. ૨૦૪ મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને ૫૪ મામલામાં અત્યાર સુધી ચુકાદા આવ્યા છે. ૫૪માંથી ૪૮ મામલામાં સજા થઈ છે. સજાનો દર ૯૧ ટકા છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં એનઆઇએની સજાનો દર સૌથી વધુ છે.
કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ કરશે, જેની પર શાહે કહ્યું કે, કૉન્ગ્રેસ ઇમર્જન્સી યાદ કરી લે. કાયદાના દુરુપયોગનો ઈતિહાસ કૉન્ગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદથી જોડવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે જેહાદી પ્રકારના કેસોમાં ૧૦૯ મામલા, ડાબેરલી ઉગ્રવાદના ૨૭, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ ૪૭, ખાલિસ્તાનવાદી ગ્રુપો પર ૧૪ મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.
ગૃહપ્રધાને કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધારા ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય. ગૃહમાં શાહે કહ્યું કે, આ બિલથી માનવાધિકારનું હનન નહીં થાય. શાહે પૂછ્યું કે, આ બિલથી વિપક્ષ કેમ ડરી રહી છે.
એનઆઈએ તપાસ દરમ્યાન બંધારણીય કાર્યવાહી કરી શકશે. કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવશે તો ચાર સ્તરની સ્કૂટીનીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આતંકવાદી ઘોષિત થયા બાદ રિવ્યુ કમિટી પણ તપાસ કરશે. જેના અધ્યક્ષ હાઈ કોર્ટના નિવૃત જજ હશે.
અમે માત્ર વ્યક્તિવિશેષને આતંકવાદી જાહેર કરવાના વિરોધમાં : કૉન્ગ્રેસ
કૉન્ગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, સુધારણા બિલને જોઈએ તો લાગે છે કે તે એનઆઈએને તાકાતવર બનાવશે, પરંતુ તેમાં કોઈ વ્યક્તિનું નામ આતંકી યાદીમાં જોડવા અને કાઢવાની જોગવાઈ છે. અમે તેનો જ વિરોધ કરી રહ્યા છીએ. ગેરકાયદે ગતીવિધિઓ સામે કાર્યવાહીનો કાયદો બનવો જ જોઈએ.
આ પણ વાંચો : Big Breaking: આતંકી હુમલાની આશંકાથી રોકવામાં આવી અમરનાથ યાત્રા
હવે કોઈ પણ વ્યક્તિ જાહેર થઈ શકે છે આતંકવાદી, ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે બિલથી માનવાધિકારનું હનન નહીં થાય, આતંકવાદી ઘોષિત થયા બાદ રિવ્યુ કમિટી પણ તપાસ કરશે, જેના અધ્યક્ષ હાઈ કોર્ટના નિવૃત્ત જજ હશે