Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > GSTમાં હવે માત્ર બે જ સ્લૅબ : જીવનજરૂરી ચીજો સસ્તી થશે

GSTમાં હવે માત્ર બે જ સ્લૅબ : જીવનજરૂરી ચીજો સસ્તી થશે

Published : 16 August, 2025 09:16 AM | Modified : 17 August, 2025 07:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરી દિવાળી ગિફ્ટ : ૨૮ ટકાના સ્લૅબની ૯૦ ટકા વસ્તુઓ ૧૮ ટકામાં આવી જશે

લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં સુધારાઓની જાહેરાત કરી હતી. ૭૯મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતાં વડા પ્રધાને ૨૦૧૭માં લાગુ કરાયેલી GST સિસ્ટમથી દેશને કેટલો ફાયદો થયો છે એની જાણકારી આપીને કહ્યું હતું કે સરકાર આ વર્ષે ઑક્ટોબરમાં GSTના દર ઘટાડવા જઈ રહી છે. એનાથી ઘણી આવશ્યક વસ્તુઓના ભાવ ઘટશે. GSTમાં સુધારાથી સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSMEને ફાયદો થશે.

વડા પ્રધાન મોદીની જાહેરાત બાદ નાણાપ્રધાને GST કાઉન્સિલને એક પ્રસ્તાવ મોકલ્યો છે જેમાં માળખાકીય સુધારા (સ્ટ્રક્ચરલ રિફૉર્મ્સ)ની, ટૅક્સદર ઘટાડવા (રેટ રૅશનલાઇઝેશન)ની અને GSTને સરળ (ઈઝ ઑફ લિવિંગ) બનાવવાની વાત કરવામાં આવી હતી.



સામાન્ય માણસને રાહત મળશે


GST સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસને રાહત આપવાનો છે. સરકાર આવશ્યક વસ્તુઓ સહિત ઘણી વસ્તુઓ પર કર ઘટાડવા માગે છે. સરકારનું માનવું છે કે દરઘટાડાથી લોકો ખરીદી કરશે અને વપરાશ વધશે. વળી દેશના મોટા ભાગના લોકોને ઘણી રાહત મળશે. સરકાર ભવિષ્યમાં ફક્ત બે સ્લૅબવાળી સિસ્ટમ ઇચ્છે છે. એમાં બે સ્લૅબ હશે - સ્ટાન્ડર્ડ અને મેરિટ. ખાસ દર ફક્ત કેટલીક પસંદ કરેલી વસ્તુઓ માટે હશે.

માત્ર બે સ્લૅબ રહેશે


હાલમાં GSTના ૦ ટકા, પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લૅબ છે. એને ઘટાડીને સ્ટાન્ડર્ડ અને મેરિટ એમ ફક્ત બે સ્લૅબ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. જોકે ખાસ દરો ફક્ત કેટલીક વસ્તુઓ પર લાગુ થશે.

વ્યવસાય કરવાની સરળતા વધશે

નાણામંત્રાલયે જણાવ્યું હતું કે ‘સુધારાનો હેતુ વસ્તુઓના વર્ગીકરણ સંબંધિત વિવાદો ઘટાડવાનો છે. સરકાર ચોક્કસ ક્ષેત્રોમાં ઉલટાવેલા ડ્યુટી-માળખાની સમસ્યાને દૂર કરવા માગે છે. સરકાર GST દરોમાં સ્થિરતા ઇચ્છે છે. સરકારનો હેતુ આ દ્વારા જીવનની સરળતા વધારવાનો છે.’

માળખાકીય સુધારા તરીકે ફેરફારો

કેન્દ્ર સરકાર ઇનપુટ અને આઉટપુટ ટૅક્સદરો વચ્ચેના તફાવતને દૂર કરવાનું વિચારી રહી છે. આ ટૅક્સ-ક્રેડિટ ઘટાડવામાં મદદ કરશે. આ સાથે એ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. નવા ફેરફારનો હેતુ વર્ગીકરણ સંબંધિત મુદ્દાઓને સુવ્યવસ્થિત કરવાનો પણ છે જેથી વર્તમાન વિવાદો અને નિયમો સંબંધિત સમસ્યાઓ ઘટાડી શકાય.

નાના વ્યવસાયોને ફાયદો

આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે GST સુધારા નાના વ્યવસાયો અને ડિજિટલને સરળ બનાવવાનો પ્રયાસ છે. એક સીમલેસ ટેક્નૉલૉજી બનાવવા, ભૂલો અને માનવહસ્તક્ષેપ ઘટાડવા માટે અગાઉ ફાઇલ કરાયેલા GST રિટર્નનું ઝડપી રીફન્ડ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે નાણામંત્રાલયે કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધણી-પ્રક્રિયા સરળ બનશે

સરકાર GST નોંધણી-પ્રક્રિયાને પણ સરળ બનાવવા માગે છે. આમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ વધારવાની યોજના છે. આનાથી સમગ્ર પ્રક્રિયામાં લાગતો સમય ઓછો થશે. નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને આનો વધુ લાભ મળશે.

રેવન્યુ અને ઇકૉનૉમીને અસર

૨૦૨૪-’૨૫માં ૯.૪ ટકાના વાર્ષિક દરથી GST કલેક્શન ૨૨.૦૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. સરકારનું માનવું છે કે નવા સુધારાથી વપરાશ વધશે, આર્થિક ગતિવિધિ વધશે અને તેથી સરકારની મહેસૂલી આવકમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને ફાયદો થશે.

અર્થતંત્રનાં ક્ષેત્રોનો વિકાસ વધશે

સરકાર માને છે કે GST સિસ્ટમમાં સુધારાથી અર્થતંત્રનાં ઘણાં ક્ષેત્રોને ફાયદો થશે. આર્થિક પ્રવૃત્તિ વધશે. આનાથી ઘણાં ક્ષેત્રોના વિકાસને વેગ મળશે. હાલમાં ઘણી વસ્તુઓના કિસ્સામાં ઇન્વર્ટેડ ડ્યુટી-સ્ટ્રક્ચરની સમસ્યા છે. આનો અર્થ એ છે કે કોઈ વસ્તુ પર ઓછો કર લાદવામાં આવે છે, જ્યારે એ વસ્તુના ઉત્પાદનમાં વપરાતા ઇનપુટ પર વધુ કર લાદવામાં આવે છે. આ ઊણપને દૂર કરવાથી સ્થાનિક મૂલ્યવર્ધનને પ્રોત્સાહન મળશે.

નવા GST સુધારામાં સિગારેટ અને તમાકુ સહિતની ૭ પ્રોડક્ટ પર ૪૦ ટકા ટૅક્સ લાગશે

કેન્દ્ર સરકારે સુધારેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના બે કરદરો પ્રસ્તાવિત કર્યા છે જે આ વર્ષે દિવાળી સુધીમાં વર્તમાન પરોક્ષ કર-વ્યવસ્થાને બદલવાની યોજના છે એમ જાણવા મળે છે.

જ્યારે હાલમાં શૂન્ય અથવા શૂન્ય ટકા GST કર આવશ્યક ખાદ્ય ચીજો પર વસૂલવામાં આવે છે, દૈનિક ઉપયોગની વસ્તુઓ પર પાંચ ટકા, પ્રમાણભૂત વસ્તુઓ પર બાર ટકા, ઇલેક્ટ્રૉનિક્સ અને સેવાઓ પર ૧૮ ટકા અને લક્ઝરી અને હાનિકારક ચીજો પર ૨૮ ટકા વસૂલવામાં આવે છે ત્યારે સુધારેલી GST વ્યવસ્થામાં બે સ્લૅબ અને વૈભવી અને હાનિકારક ચીજો માટે ૪૦ ટકાનો ખાસ દર હશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે સુધારેલા માળખાને GST કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે અત્યારે ૧૨ ટકાના સ્લૅબમાં રહેલી ૯૯ ટકા વસ્તુઓ પાંચ ટકાના સ્લૅબમાં આવી જશે. એવી જ રીતે લગભગ ૯૦ ટકા વસ્તુઓ અને સેવાઓ જે હાલમાં ૨૮ ટકાના દરે વસૂલવામાં આવે છે એ ૧૮ ટકાના કરદરમાં બદલાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ૪૦ ટકાનો ખાસ દર ફક્ત સાત વસ્તુઓ પર જ વસૂલવામાં આવશે, વધુમાં તમાકુ પણ આ દર હેઠળ આવશે, પરંતુ કરવેરાની કુલ માત્રા વર્તમાન ૮૮ ટકાના દરે ચાલુ રહેશે.

૨૦૧૭ની ૧ જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય કરવેરાનો સમાવેશ થયા પછી અસ્તિત્વમાં આવેલા વર્તમાન GST માળખા હેઠળ સૌથી વધુ ૬૫ ટકા કરવસૂલાત ૧૮ ટકા કરવેરામાંથી થાય છે. લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પરનો ૨૮ ટકાનો ટોચનો દર આવકમાં ૧૧ ટકા ફાળો આપે છે, જ્યારે ૧૨ ટકાનો સ્લૅબ આવકમાં માત્ર પાંચ ટકા ફાળો આપે છે. જીવનશૈલીની આવશ્યક વસ્તુઓ પરનો સૌથી ઓછો પાંચ ટકા કરવેરા કુલ GST રકમમાં ૭ ટકા ફાળો આપે છે. હીરા અને કીમતી પથ્થરો જેવા ઉચ્ચ શ્રમ-સઘન અને નિકાસલક્ષી ક્ષેત્રો પર હાલના દરો મુજબ કર વસૂલવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2025 07:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK