કૃષિ બિલનો રાજ્યમાં અમલ નહીં : અજિત
અજિત પવાર
કૃષિ ક્ષેત્રે સુધારા રૂપે સંસદમાં પસાર કરાયા પછી રાષ્ટ્રપતિની સંમતી બાદ જે ત્રણ કાયદા બનશે, એ કાયદાનો અમલ તાત્કાલિક કરવામાં નહીં કરવાની જાહેરાત ગઈકાલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી. ત્રણ પક્ષોની મહા વિકાસ આઘાડી સરકારનું બીજે ક્રમે નેતૃત્વ સંભાળતા અજિત પવારે જણાવ્યું હતું કે નવા પ્રસ્તાવિત કાયદાના તમામ કાનૂની પાસાંનો અભ્યાસ કરવામાં આવશે. લોકસભા અને રાજ્ય સભામાં પસાર કરવામાં આવેલા ત્રણ ખરડા પર રાષ્ટ્રપતિની સહીની ઔપચારિકતા બાકી છે.
બીજેપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેના કાયદાનો અમલ નહીં કરવાથી ખેડૂતોનું અહિત થશે. આ ત્રણ પક્ષોએ ચૂંટણીના જાહેરનામામાં ખેડૂતો માટે કાનૂની સુધારા લાવવાનું વચન આપ્યું હતું. પરંતુ અન્ય પક્ષ એ સુધારા લાવે તો તેનો વિરોધ કરે છે. એ પક્ષોએ તેમના ચૂંટણીના ઘોષણાપત્રમાં સ્પષ્ટ લખવું જોઇતું હતું કે તેઓ સત્તા પર આવશે તોજ ખેડૂતો માટે કાનૂની સુધારા લાવશે. વિરોધ પક્ષ બનશે તો સુધારાનો વિરોધ કરશે. એ રાજકીય પક્ષોને ખેડૂતો પાઠ ભણાવશે.’