ઍરપોર્ટની આસપાસનાં બિલ્ડિંગોનું રીડેવલપમેન્ટ અટકશે
ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટના જુહુમાં આવેલા રડારને અન્ય જગ્યાએ ખસેડવાના પ્રસ્તાવ પર હજી કોઈ વિચાર કર્યો નથી એમ કેન્દ્રીય સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે હાઈ કોર્ટને જણાવ્યું છે. એને પગલે ઍરપોર્ટની આસપાસનાં બિલ્ડિંગોનાં પ્રસ્તાવિત રીડેવલપમેન્ટના કામ પર ફરી બ્રેક લાગી ગઈ છે.
જસ્ટિસ બી. પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોશ પુનીવાલાની બેન્ચ સમક્ષ સંયુક્ત સુનાવણી યોજાઈ હતી. મહાયુતિની સરકારે ગયા વર્ષે ૧૮ ફેબ્રુઆરીએ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટને પત્ર લખીને જુહુ અને દહિસર ખાતેનાં રડાર સ્ટેશન ગોરાઈમાં શિફ્ટ કરવા વિનંતી કરી હતી. સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે અલગ માહિતી આપી છે. તેથી બેન્ચે આદેશ આપ્યો છે કે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના ડિવિઝનલ ઑફિસર અને રાજ્ય સરકારના જવાબદાર અધિકારી આગામી સુનાવણી માટે કોર્ટમાં હાજર રહે અને આ મુદ્દાની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરે. કોર્ટે સુનાવણી ૨૬ માર્ચ સુધી મુલતવી રાખી હતી.
