રેલવેની જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવે તો પહેલા તબક્કા (સાંતાક્રુઝથી ગોરેગામ)ની ડેડલાઇન ૨૦૨૩ની છે
ફાઇલ તસવીર
રેલવે-ટ્રૅક પર રહેતા સેંકડો પરિવારો સાથે રેલવે અને સિટી પ્લાનર્સ ફરી સોદો સ્થાપિત કરી શકે તો પશ્ચિમ રેલવેના બોરીવલીથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની છઠ્ઠી લાઇન બે તબક્કામાં આગામી વર્ષોમાં ખુલ્લી મૂકી શકાય એમ છે. રેલવેની જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવે તો પહેલા તબક્કા (સાંતાક્રુઝથી ગોરેગામ)ની ડેડલાઇન ૨૦૨૩ની છે તથા આખો કૉરિડોર ૨૦૨૫ સુધીમાં ખુલ્લો મૂકવા નિર્ધારાયો છે. આ સર્વિસ શરૂ કરાશે તો પશ્ચિમ રેલવેની સર્વિસમાં ૨૦ ટકાનો વધારો થશે.
હાલમાં બોરીવલીથી સાંતાક્રુઝ અને માહિમથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાંચમી લાઇન તૈયાર છે. વચ્ચેની માહિમ અને ખારની રેલવેલાઇન જગ્યાના અભાવે ખૂટે છે. પાંચમી અને છઠ્ઠી લાઇન માટે જગ્યા બનાવવા માટે રેલવેએ આ ભાગમાં હાર્બર લાઇન માટે ગોઠવણીને ફરીથી ડિઝાઇન કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) સાથે સંકલનમાં રીસેટલમેન્ટ ઍન્ડ રીહૅબિલિટેશન (આરઍન્ડઆર) સ્કીમ હેઠળ કામ કરવાથી અન્ય વિસ્તારો, ખાસ કરીને બોરીવલી, ગોરેગામ-અંધેરી અને વિલે પાર્લેમાં અતિક્રમણ કરનારાઓને દૂર કરાવાની શક્યતા છે.