આ કેસ પછી પોલીસે અકુદરતી ગુના માટે આઈપીસીની કલમ ૩૭૭ જોડી
પ્રતીકાત્મક તસવીર
માયાનગરી મુંબઈમાં દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં વિલે પાર્લામાં જમાઈએ સાસુ પર બળાત્કાર કરીને તેને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. ફક્ત બળાત્કાર જ નથી કર્યો પણ તેને સાસુના માથા પર ટાઈલ્સથી માર માર્યો છે અમે ચાકુથી પણ વાર કર્યો. આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં વાંસનો સળીયો પણ ઘુસાડ્યો હતો. પીડિત સાસુનું મૃત્યુ થયું છે અને આરોપીને ૧૪ સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. સાથે જ પોલીસે આ ઘટના બાદ ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની અકુદરતી ગુનાની કલમ ૩૭૭ ઉમેરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપીએ મહિલાના માથા પર ટાઈલ્સથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેના પર ચાકુના ઘા કર્યા હતા. પછી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં વાંસનો સળીયો નાંખીને તેનું આંતરિક અંગ બહાર કાઢતાં તેનું મોત થયું હતું. અમે છ દિવસ પહેલાં આઈપીસીની કલમ ૩૭૭ ઉમેરી છે’. પકડાયેલા આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ૧૪ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ઘટના વિલેપાર્લા પૂર્વમાં રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. આરોપીએ પીડિત મહિલાની દીકરી સાથે લગ્ન કર્યા હતા. બન્નેને બાળકો પણ છે. મહિલા તેની દીકરી સાથે રહેતી હતી.
આરોપી ચેન સ્નેચિંગના મામલામાં ત્રણ વર્ષથી યેરવાડા જેલમાં બંધ હતો. ત્યાંથી તાજેતરમાં જ છુટ્યો હતો. પછી પત્નીને મળવા વિલે પાર્લામાં આવેલા સાસુના ઘરે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે અને તેમને એક બાળક પણ છે. પછી તે પત્ની પર બીજા પતિને છોડવા માટે દબાણ કરવા લાગ્યો હતો. બીજા દિવસે આરોપી છોકરાઓ અને પત્નીને મળવા ઘરે પહોંચ્યો ત્યારે પત્ની ત્યાંથી જતી રહી હતી. એટલે તેણે સાસુને ધમકાવીને પત્ની વિશે પુછ્યું પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો એટલે તેના પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, એક દિવસ બાદ આરોપીની પુણેમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી સામે ગુનાના ૨૮ કેસ છે. તેમાંથી આઠમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.