રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના શ્રીમુખેથી નૂતનદીક્ષિત મહાસતીજીને પાંચ મહાવ્રતોથી આરોપિત, સ્થાપિત, ઉપસ્થાપિત કરવામાં આવ્યાં
શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજી
૨૧ વર્ષની ભરયુવાન વયમાં સુખ-સમૃદ્ધિ ત્યજીને, સ્વજનોની લાગણી અને સમગ્ર સંસારનો ત્યાગ કરીને ગયા રવિવારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચરણ-શરણમાં દીક્ષા અંગીકાર કરીને સંયમપથ પર પ્રયાણ કરનારાં નૂતનદીક્ષિત સાધ્વીરત્ના પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીનો વડી દીક્ષા મહોત્સવ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, તાડદેવ સંચાલિત માતુશ્રી મણિબેન મણશી ભીમશી છાડવા ધર્મસ્થાનકના ઉપક્રમે યોજાયો હતો.
વહેલી સવારે ધર્મસ્થાનકથી સંયમયાત્રા પ્રારંભ થઈ ગાજતી-ગુંજતી અવસર હૉલમાં પધારતાં પૂજ્ય સંતો, સાધ્વીવૃંદ અને પ્રત્યક્ષ ઉપસ્થિત શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો અને બહોળી સંખ્યામાં ભાવિકોની સાથે લાઇવના માધ્યમે હજારો ભાવિકો જોડાયા હતા.
ADVERTISEMENT
ઉપસ્થિત ભાવિકોને ભગવાન મહાવીરની પરંપરાથી દીક્ષિત આત્માને અર્પણ થઈ રહેલી વડી દીક્ષાના પ્રારંભિક ઇતિહાસનો સુંદર શૈલીમાં પરિચય આપીને પરમ ગુરુદેવે બોધ ફરમાવતાં કહ્યું હતું કે ‘જે પ્રતિજ્ઞાઓના પ્રયોગો, જે પ્રતિજ્ઞાઓની હૃદયસ્પર્શનાએ અને જે પ્રતિજ્ઞાઓના આધારે સાધક આત્માને પોતાના મનને કમાન્ડ આપીને સમગ્ર જીવન સંયમમય વિતાવવા માટેની વિધિ એ વડી દીક્ષા હોય. આવા સંયમ પ્રતિબદ્ધ જીવન જીવનારા સાધુ તે હોય જેના માટે કોઈ સગાં ન હોય, ન કોઈ વહાલાં હોય’.
આ અવસરે ડૉ. રતનબહેન ખીમજી મણશી છાડવા પરિવાર દ્વારા અત્યંત અહોભાવે પરમ ગુરુદેવના પાવન કરકમલમાં આગમ પોથી અર્પણ કરવામાં આવી હતી, જેના દ્વારા નૂતનદીક્ષિત સાધ્વીરત્નાને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. પરમ ગુરુદેવના શ્રીમુખેથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોથી નૂતનદીક્ષિત સાધ્વીરત્નાને સ્થાપિત અને પ્રસ્થાપિત કરવાની વિધિ સ્વરૂપ વડી દીક્ષા અર્પણ કરીને એમનો સંયમજીવનમાં વાસ્તવિક પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરમ નેમપ્રિયાજી મહાસતીજીએ દીક્ષાગ્રહણ પછીના છ દિવસના સંયમજીવનની અંતર અનુભૂતિની અભિવ્યક્તિ કરતાં સૌ અહોભાવિત થયા હતા. લાભાર્થી પરિવાર દ્વારા નૂતનદીક્ષિત મહાસતીજીને શાલ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરના સાધર્મિક ભક્તિના લાભાર્થી ડૉ. રતનબહેન ખીમજી મણશી છાડવા પરિવારનું, વડી દીક્ષા સભાખંડ લાભાર્થી નૈનીતાબહેન જયેશભાઈ પટવા પરિવારનું, દિલીપભાઈ દેસાઈ તેમ જ
નૂતનદીક્ષિત મહાસતીજીનાં સંસારી માતા-પિતા હેમલતાબહેન મહેન્દ્રભાઈ નંદુનું સન્માન કરવામાં આવ્યું હતું. પરમ નેમપ્રિયાજી મહાસતીજીના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે વડી દીક્ષાનો આ અવસર વિરામ પામ્યો હતો.