ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેનાને લઈને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ (Shinde vs Thackeray Supreme Court) સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી દાખલ કરી છે
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે
કી હાઇલાઇટ્સ
- ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેનાને લઈને અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ SCમાં અરજી કરી
- રાહુલ નરવેકરે બુધવારે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે
- ઠાકરેએ બળવો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ નકારી કાઢવાના નિર્ણયને પડકાર્યો
ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેનાને લઈને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ (Shinde vs Thackeray Supreme Court) સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નરવેકરે બુધવારે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે. પોતાનો નિર્ણય આપતી વખતે, સ્પીકરે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના 14 ધારાસભ્યો સહિત તેમના જૂથના 16 ધારાસભ્યોની સદસ્યતા જાળવી રાખી હતી.
સ્પીકરના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે (Shinde vs Thackeray Supreme Court)એ કહ્યું હતું કે, “તેમનો નિર્ણય સુપ્રીમ કોર્ટની અવમાનના છે. તેથી લડત ચાલુ રહેશે.” તમને જણાવી દઈએ કે, 11 મેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલેની નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી. નાર્વેકરે તેને યોગ્ય ઠેરવ્યું છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ પક્ષમાં બળવો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ નકારી કાઢવાના સ્પીકરના નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગયા વર્ષે જૂનમાં, બિનચૂંટાયેલા શિવસેનાના 16 ધારાસભ્યોએ બળવો કર્યો અને એકનાથ શિંદે જૂથમાં જોડાયા. બાદમાં એકનાથ શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. શિંદે મુખ્યપ્રધાન બન્યા, જ્યારે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રભાન બન્યા હતા.
બાદમાં શિવસેનાની તર્જ પર એનસીપીમાં પણ વિભાજન જોવા મળ્યું હતું. અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપ-શિંદે સરકારમાં જોડાયા હતા. અજિત પવારને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાને લઈને શિવસેના (UBT) અને NCPએ પણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. બંને પક્ષો તેમના બળવાખોર ધારાસભ્યોને બરતરફ કરવાની માગ કરી રહ્યા છે.
જોકે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તમામ ગેરલાયકાતની અરજીઓ ફગાવી દીધી હતી. ઉદ્ધવ ઠાકરેએ સ્પીકર નાર્વેકરની દલીલને સુપ્રીમ કોર્ટનું `અપમાન` અને `લોકશાહીની હત્યા` ગણાવી છે. ઠાકરેએ સ્પીકર રાહુલ નાર્વેકર પર શિંદે કેમ્પની સૂચનાઓ પર કામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “...ગઈકાલે આશંકા વ્યક્ત કરી હતી કે આ લોકશાહીની હત્યાનું કાવતરું છે."
આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે એનડીટીવીને જણાવ્યું હતું કે, “ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને જે વ્હીપ આપવામાં આવ્યો હતો તે કદાચ યોગ્ય રીતે આપવામાં આવ્યો ન હતો. આનો અર્થ એ થયો કે તેમને ગેરલાયક ઠેરવવા યોગ્ય નથી.”
SCએ 31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી
આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલામાં છેલ્લી સુનાવણી 14 ડિસેમ્બર 2023ના રોજ કરી હતી. ત્યારબાદ સ્પીકરે નિર્ણય લેવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બરથી વધારીને 10મી જાન્યુઆરી કરી હતી. એટલે કે સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણીના 28માં દિવસે સ્પીકરે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જૂનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ હતી. આ રાજકીય ઉથલપાથલ 11 મહિના સુધી ચાલુ રહી. સુપ્રીમ કોર્ટે 11 મે 2023ના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો નથી. તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું હતું, આવી સ્થિતિમાં કોર્ટ જૂની સરકારને પુનઃસ્થાપિત કરી શકે નહીં.


