ડૉક્ટરો અને નર્સો પર હુમલો કરનારા ડોમ્બિવલીના શિવસેનાના કૉર્પોરેટર અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા બૉમ્બે હાઈ કોર્ટે
રમેશ મ્હાત્રે
બૉમ્બે હાઈ કોર્ટે ડોમ્બિવલી-વેસ્ટની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં ડૉક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ પર થયેલા હુમલાના કેસમાં શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેના સાથીદારોના જામીન ગઈ કાલે રદ કરી દીધા હતા.
ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની ડિવિઝન બેન્ચે કલ્યાણની મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન વિશે જાતે નોંધ લઈને આ નિર્ણય લીધો હતો. હાઈ કોર્ટે નીચલી અદાલતના આદેશ પર સ્ટે આપતાં જણાવ્યું હતું કે આ મામલો અત્યંત ગંભીર છે અને અગાઉના આદેશમાં વિસંગતતા જોવા મળી છે. કોર્ટે રમેશ મ્હાત્રે અને અન્ય આરોપીઓને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
જો રમેશ મ્હાત્રે શરણાગતિ નહીં સ્વીકારે અથવા ગુમ જણાશે તો પોલીસ તેની સ્થાવર મિલકતો જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુક્ત રહેશે. આ કેસની આગામી સુનાવણી બાવીસમી જુલાઈએ કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદ ૬ જુલાઈએ શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં બનેલી હિંસક ઘટનાથી શરૂ થયો હતો. આ કેસના મુખ્ય આરોપી રમેશ મ્હાત્રેની ધરપકડ બાદ તબિયત બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને મૅજિસ્ટ્રેટ કોર્ટે ૧૪ જુલાઈએ ૫૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર તેને જામીન આપ્યા હતા.
